કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની સ્મૃતિમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એક અખબારી યાદી બહાર પાડીને ગૃહ મંત્રાલયે કહ્યું કે શુક્રવારે સવારે સરકારને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરફથી ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહ ના સ્મારક માટે જગ્યા ફાળવવાની વિનંતી મળી. કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહના પરિવારને જણાવ્યું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. આ દરમિયાન અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી શકે છે, કારણ કે એક ટ્રસ્ટની રચના કરવામાં આવશે અને આ માટે જગ્યા ફાળવવામાં આવશે.
કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારનું નેતૃત્વ કરનાર અને આર્થિક સુધારા માટે જાણીતા ડૉ.મનમોહન સિંહ (Manmohan Singh) નું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું. તેમણે 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે 10 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કર્યું.