ભારત–ન્યૂઝીલેન્ડ ટેરિફ મુક્ત વેપાર કરાર: કૃષિથી ટેક્સટાઈલને મોટો ફાયદો

વ્યાપારિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ભારત ન્યૂઝીલેન્ડને મુખ્યત્વે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF), ટેક્સટાઈલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરીની નિકાસ કરે છે.

New Update
deal

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક ઐતિહાસિક મોખરું વળાંક આવ્યું છે.

બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગેની વાતચીત સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જેને પગલે હવે બંને દેશો વચ્ચે ટેરિફ મુક્ત વેપારનો માર્ગ ખુલ્લો થયો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોમવારે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ સમજૂતી અંતર્ગત ન્યૂઝીલેન્ડ તેની 100 ટકા ટેરિફ લાઇન પર શુલ્ક સંપૂર્ણપણે હટાવી દેશે. પરિણામે, ભારતીય નિકાસકારોને ન્યૂઝીલેન્ડના બજારમાં શૂન્ય ડ્યુટી સાથે સીધો પ્રવેશ મળશે, જે ભારતના ઉદ્યોગો અને ઉત્પાદકો માટે મોટું અવસર સાબિત થશે.

વડાપ્રધાન લક્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા બાદ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ સમજૂતી ન્યૂઝીલેન્ડના વ્યવસાયોને ભારતની ઝડપી ગતિએ વિકસતી અર્થવ્યવસ્થાનો સીધો લાભ અપાવશે. તેમણે કહ્યું કે, આ કરારથી કીવી બિઝનેસોને 1.4 અબજ ભારતીય ગ્રાહકો સુધી પહોંચવાનો માર્ગ ખુલશે. ન્યૂઝીલેન્ડ સરકારના અંદાજ મુજબ, આગામી બે દાયકામાં ભારત માટે ન્યૂઝીલેન્ડની નિકાસ વર્તમાન વાર્ષિક 1.1 બિલિયન ડોલરથી વધીને 1.3 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે, જે બંને દેશોના વેપારિક સંબંધોને નવી ઊંચાઈ આપશે.

આ ઐતિહાસિક સમજૂતીની સત્તાવાર શરૂઆત 16 માર્ચ, 2025ના રોજ થઈ હતી, જ્યારે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વ્યાપાર મંત્રી ટોડ મેક્લે વચ્ચે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. માત્ર પાંચ ઔપચારિક ચર્ચા રાઉન્ડ અને અનેક વર્ચ્યુઅલ બેઠકો બાદ બંને દેશો કરારના અંતિમ સ્વરૂપ પર સંમત થયા છે. આ કરારમાં ભારતે પણ ઉદારતા દાખવી છે અને ન્યૂઝીલેન્ડ માટે તેની લગભગ 70 ટકા ટેરિફ લાઈન્સ પર શુલ્કમાં છૂટછાટ આપવાની ઓફર કરી છે, જે દ્વિપક્ષીય વિશ્વાસ અને સહયોગને દર્શાવે છે.

આ સમજૂતીનો સૌથી મોટો ફાયદો એ છે કે બંને દેશો વચ્ચેના ઊંચા આયાત શુલ્કમાં ઘટાડો થશે. હાલ ન્યૂઝીલેન્ડમાં ભારત પર લાગતો સરેરાશ આયાત ટેક્સ માત્ર 2.3 ટકા છે, જ્યારે ન્યૂઝીલેન્ડના ઉત્પાદનો પર ભારતમાં સરેરાશ 17.8 ટકા જેટલો ઊંચો ટેક્સ લાગુ પડે છે. આ કરાર અમલમાં આવ્યા બાદ આ ટેક્સમાં નોંધપાત્ર ઘટાડો થશે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 1.3 બિલિયન ડોલરનો વેપાર નોંધાયો હતો, જેમાં ભારતે 711.1 મિલિયન ડોલરની નિકાસ કરી હતી.

વ્યાપારિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ભારત ન્યૂઝીલેન્ડને મુખ્યત્વે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF), ટેક્સટાઈલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરીની નિકાસ કરે છે. ખાસ કરીને ATF અને કાપડ ઉદ્યોગનો ફાળો ભારતીય નિકાસમાં સૌથી મોટો રહ્યો છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડમાંથી ભારત મોટા પ્રમાણમાં કાચો માલ અને કૃષિ આધારિત ઉત્પાદનો આયાત કરે છે, જેમાં લાકડાની વસ્તુઓ, લાકડાનો પલ્પ, સ્ટીલ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ સ્ક્રેપનો સમાવેશ થાય છે. નિષ્ણાતો માને છે કે આ મુક્ત વેપાર સમજૂતી માત્ર આર્થિક લાભ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને પણ વધુ મજબૂત બનાવશે. સાથે સાથે, આ કરાર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની લાંબા સમયથી ચાલી આવતી મિત્રતા અને પરસ્પર વિશ્વાસનું શક્તિશાળી પ્રતીક બની, આગામી વર્ષોમાં દ્વિપક્ષીય વેપારને નવી દિશા અને ગતિ આપશે.

Latest Stories