ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં આવેલી કડવાશની અટકળો વચ્ચે એક મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટનાક્રમ સામે આવ્યો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ G7 સમિટ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. વડાપ્રધાન મોદીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને સમિટમાં કાર્નેને મળવા માટે આતુરતા વ્યક્ત કરી છે, જે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા તરફ એક સકારાત્મક સંકેત આપે છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ વડાપ્રધાન મોદીને ફોન કરીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ ઇન્સ્ટાગ્રામ પર આ વાતચીત અંગે માહિતી આપતા લખ્યું, "કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ને સાથે ફોન પર વાત કરવાનો આનંદ થયો. તાજેતરની ચૂંટણીઓમાં તેમની જીત બદલ તેમને અભિનંદન આપ્યા અને આ મહિનાના અંતમાં કનાનાસ્કિસમાં યોજાનારી G7 સમિટમાં મને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો.