મહારાષ્ટ્ર: જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં RPFના જવાને કર્યું ફાયરિંગ, ASI સહિત 4નાં મોત
મુંબઈના પાલઘર નજીક ચાલુ ટ્રેનમાં ફાયરિંગ, જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં RPFના જવાને કર્યું ફાયરિંગ.
મુંબઈમાં આજે સવારે જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ફાયરિંગમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે. આ ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી.
જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં RPFના ASI સહિત 3 મુસાફરો છે. આરપીએફના કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી મારી દીધી હતી. આ ઘટના મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પાસે સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. આરોપી જવાન દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી નીચે ઉતરીને ભાગી ગયો હતો.
પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે આરોપી જવાનને તેના હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ જવાનને પૂછપરછ માટે બોરીવલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. પોલીસ આરોપીએ આવું શા માટે કર્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
મીરા રોડ બોરીવલી વચ્ચે જીઆરપી મુંબઈના જવાનોએ આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ આરોપીને બોરીવલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. બંને આરપીએફના જવાનો ફરજ પર હતા અને ઓફિશિયલ કામ માટે મુંબઈ આવી રહ્યા હતા. આરોપી જવાને પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કર્યું હતું.