લેફ્ટનન્ટ ગવર્નરે શનિવારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ગુરુવારે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની કેબિનેટે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.ડેપ્યુટી સીએમ સુરિન્દર કુમાર ચૌધરીએ કહ્યું કે કેન્દ્રએ પોતાનું વચન પૂરું કરવું જોઈએ અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો જોઈએ, તે અમારો અધિકાર છે. અમે તે જ માગ કરી રહ્યા છીએ જે તેમણે પહેલેથી જ વચન આપ્યું હતું.
ઓમર 2 દિવસમાં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને તેમને પ્રસ્તાવનો ડ્રાફ્ટ સોંપશે.ઓમરે વિધાનસભા ચૂંટણી દરમિયાન એમ પણ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાના પ્રસ્તાવને કેબિનેટની પ્રથમ બેઠકમાં જ મંજૂરી આપવામાં આવશે. 16 ઓક્ટોબરે સીએમ તરીકે શપથ લીધા બાદ બીજા જ દિવસે તેમણે ઠરાવ પસાર કર્યો હતો.5 ઓગસ્ટ, 2019ના રોજ, જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની સાથે, કેન્દ્ર સરકારે પૂર્ણ રાજ્યનો દરજ્જો નાબૂદ કર્યો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) માં વિભાજિત કર્યું.