રાષ્ટ્રપતિએ NDA નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે 09 જૂન 2024ના રોજ સાંજે 07:15 કલાકે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે. NDA નેતાઓના સમર્થનના પત્રો પ્રાપ્ત કર્યા પછી, રાષ્ટ્રપતિને જાણવા મળ્યું કે NDA 18મી લોકસભામાં બહુમતી મેળવવાની સ્થિતિમાં છે. જે બાદ રાષ્ટ્રપતિએ ભારતના બંધારણની કલમ 75(1) હેઠળ નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા.
રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તારીખ અને સમય જણાવવા વિનંતી કરી હતી. ઉપરાંત, કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યો તરીકે નિમણૂક કરવા માટે અન્ય નેતાઓના નામોની યાદી માંગવામાં આવી હતી.
એનડીએ ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ પછી મોદી રાષ્ટ્રપતિને મળ્યા અને તેમને તેમના સમર્થક સાંસદોની યાદી આપી અને સરકાર બનાવવાનો દાવો કર્યો.
કેન્દ્ર સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતા કહ્યું કે છેલ્લા 10 વર્ષની જેમ આ વખતે પણ દેશવાસીઓ નિરાશ નહીં થાય. કોઈપણ કાર્યને પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. જે રીતે પહેલાની સરકાર ચાલતી હતી તે જ રીતે આ સરકાર પણ ચાલશે.દેશના લોકોએ ત્રીજી વખત સેવા માટે આદેશ આપ્યો છે.