વર્ષના અંતે ઉત્તરાખંડમાં કરુણ બસ દુર્ઘટના, અલ્મોડામાં સાતનાં મોત

આ ભયાનક દુર્ઘટનામાં સાત મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

New Update
uttarakhand

ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માતે સમગ્ર પ્રદેશને શોકમાં મૂક્યો છે.

અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ અચાનક ચાલકના કાબૂ બહાર જઈ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક દુર્ઘટનામાં સાત મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વર્ષના અંતે પરિવારજનો સાથે ઉજવણીની તૈયારી કરી રહેલા અનેક પરિવારો માટે આ ઘટના કદી ન ભૂલાય તેવી પીડા છોડી ગઈ છે.

અહેવાલો અનુસાર, આ અકસ્માત મંગળવારે 30 ડિસેમ્બરની સવારે ભીકિયાસૈન–રામનગર માર્ગ પર શિલાપાની નજીક સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે વળાંકદાર અને સંકડી રસ્તા પર બસ ચાલકનું નિયંત્રણ ગુમાયું હતું, જેના પરિણામે બસ સીધી જ સોંસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ. પર્વતીય વિસ્તારમાં આવેલા આ માર્ગ પર પહેલાથી જ જોખમ રહેતું હોવાથી અકસ્માતની ગંભીરતા વધુ વધી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામોના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક ગ્રામજનો સાથે પોલીસ અને એસડીઆરએફ (SDRF)ની ટીમોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. દુર્ગમ ભૂગોળ અને ઊંડી ખીણને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ પડી રહી હતી, તેમ છતાં ટીમોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. અત્યાર સુધીમાં સાત લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને અન્ય મુસાફરોને ગંભીર હાલતમાં ખીણમાંથી બહાર કાઢી નજીકની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે.

હાલ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને બસમાં સવાર તમામ મુસાફરોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. કોઈ અન્ય મુસાફરો દબાયેલા કે ગુમ થયા તો નથી ને, તેની પણ સઘન તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર પર્વતીય વિસ્તારોમાં માર્ગ સલામતી, વાહનોની તકનીકી સ્થિતિ અને ડ્રાઈવિંગ દરમિયાન સાવચેતીના મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Latest Stories