બિલાસપુર ટ્રેન અકસ્માતનું કારણ શું? લોકોપાયલટની ભૂલ કે ટેક્નિકલ ખામી પર ઉઠ્યાં સવાલો

હાલ તપાસ એ દિશામાં પણ થઈ રહી છે કે આ માનવીય ભૂલ હતી કે ટેકનિકલ ખામી. અધિકારીઓનું કહેવું છે કે MEMU ટ્રેનોમાં અદ્યતન બ્રેકિંગ અને સિગ્નલિંગ સિસ્ટમ હોય છે

New Update
bilashpur train accident

છત્તીસગઢના બિલાસપુરમાં સોમવારે સાંજે બનેલી ભીષણ રેલવે દુર્ઘટનાએ સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.

MEMU પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે થયેલી આ ટક્કર એટલી ભયાનક હતી કે પેસેન્જર ટ્રેનનો એક કોચ માલગાડીના ડબ્બા પર ચડી ગયો.

આ દુર્ઘટનામાં છ મુસાફરોનાં મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. રેલવેના અધિકારીઓ અને તપાસ ટીમો હાલ આ ઘટના પાછળના સાચા કારણો શોધવામાં વ્યસ્ત છે. પ્રાથમિક તપાસમાં જે સંકેતો મળી રહ્યા છે, તે મુજબ MEMU ટ્રેનના લોકો પાયલટે રેડ સિગ્નલ ઈગ્નોર કર્યું હતું અને નિર્ધારિત સિગ્નલ પાર કરી દીધું, જેના કારણે ટ્રેન સીધી આગળ ઊભેલી માલગાડીના પાછળના ભાગ સાથે અથડાઈ ગઈ.

રેલવેના ઓપરેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે તે સમયે માલગાડી લાઇન પર પહેલેથી જ ઊભી હતી અને MEMU ટ્રેનના પાયલટે સમયસર ટ્રેનને રોકી ન શકતાં આ દુર્ઘટના બની.

હાલ તપાસ એ દિશામાં પણ થઈ રહી છે કે આ માનવીય ભૂલ હતી કે ટેકનિકલ ખામી. અધિકારીઓનું કહેવું છે કે MEMU ટ્રેનોમાં અદ્યતન બ્રેકિંગ અને સિગ્નલિંગ સિસ્ટમ હોય છે, જે સામાન્ય રીતે આવા અકસ્માતોને અટકાવે છે.

તેથી રેલવેના ઈજનેરો અને સલામતી નિરીક્ષકો હવે આ દિશામાં તપાસ કરી રહ્યા છે કે શું સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી કે બ્રેક યોગ્ય રીતે કાર્યરત નહોતા. દુર્ઘટના સમયે ટ્રેનની સ્પીડ કેટલી હતી, પાયલટે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં, અને સિગ્નલ સિસ્ટમમાં કોઈ ત્રુટી હતી કે કેમ — તે જાણવા ટેક્નિકલ ટીમો દ્વારા વિગતવાર વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે.

ઘટનાના બાદ બિલાસપુર સ્ટેશન વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રેલવેના બચાવ દળોએ તરત જ મોર્ચો સંભાળી મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે સમગ્ર સિગ્નલ સિસ્ટમની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.

રેલવે અધિકારીઓનું માનવું છે કે જો સમયસર ટેક્નિકલ ખામી અથવા માનવીય ભૂલનું ચોક્કસ કારણ મળી જાય, તો આવનારા સમયમાં આવી દુર્ઘટનાઓને ટાળવી શક્ય બનશે.

Latest Stories