કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં કોરોના કાળ દરમ્યાન મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોના લોકોને રોજગારી આપવામાં આવી રહી છે. જિલ્લા પંચાયત અને રાપર તાલુકા પંચાયત દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ લોકોને માનવ દિનની રોજગારી આપવામાં આવે છે. હાલ રાપર તાલુકામાં આવેલ 92 ગામો પૈકી 50 જેટલા ગામોમાં મનરેગા યોજનાના 81 કામો ચાલી રહ્યા છે. જેમાં એક માનવ દિનની રોજગારી રૂ. 229 આપવામાં આવે છે.
મનરેગા યોજના અંતર્ગત આંબેડકર આવાસ યોજના, તળાવ, ચેકડેમો, સામાજિક નવીકરણ, બંધપાળા અને રસ્તા સહિતના અનેક કામો કરવામાં આવે છે. રાપર તાલુકામાં હાલ 3500થી વધુ લોકો મનરેગા યોજનામાં રોજગારી મેળવી રહ્યા છે. આ કામો પર જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મેહુલ જોશીના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા વિકાસ અધિકારી આર.કે.રાઠવા, આંકડા અધિકારી ડી.જે.ચાવડા, હરેશ પરમાર, અમરસિંહ પરમાર સહિતના અધિકારીઓની હાજરીમાં પુરજોશે કાર્ય ચાલી રહ્યું છે.