રાજ્યમાં મર્યાદિત સંખ્યામાં હોળી દહનની મંજૂરી, રંગોત્સવ કાર્યક્રમ પર પ્રતિબંધઃ DyCM નીતિન પટેલ

New Update
રાજ્યમાં મર્યાદિત સંખ્યામાં હોળી દહનની મંજૂરી, રંગોત્સવ કાર્યક્રમ પર પ્રતિબંધઃ DyCM નીતિન પટેલ

રાજ્યમાં ધુળેટીની ઉજવણીને લઇને મહત્વના સમાચાર, હોળીની ધાર્મિક વિધિ માટે છૂટછાટ આપવામાં આવી છે. કોરોનાના વધતા કેસોને લઇને ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હોળી-ધુળેટી અંગે નિર્ણય કરાયો છે. હોળીના દિવસે ધાર્મિક રીતે હોળી દહનની જ માત્ર મંજૂરી રહેશે. ધાર્મિક ઊજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે.

નીતિન પટેલે કહ્યું કે, હોળીની ઉજવણીમાં ટોળાશાહી કરવા, ધુળેટીમાં રંગવા-પાણી નાખવા જેવી કોઇ મંજૂરી નહીં મળે. હોળી-ધુળેટીના નાના મોટા કે જાહેર રંગોત્સવ કાર્યક્રમને મંજૂરી નહીં મળે. વધુમાં તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં.