અંકલેશ્વર SVEM શાળાની બેદરકારી, વરસાદી પાણી ભરાયા બાદ બાળકોને રજા અપાઈ
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે,જેના કારણે વરસાદી પાણીથી પ્રભાવિત થતી શાળાઓમાં રજા જાહેર કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે,જેના કારણે વરસાદી પાણીથી પ્રભાવિત થતી શાળાઓમાં રજા જાહેર કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી પરંતુ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જલારામ નગરની સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા પાસે પાણી ભરાયા બાદ બાળકોને રજા આપવામાં આવી હતી.જે અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની આગાહી કરવામાં આવી હતી,જેના પગલે અંકલેશ્વરમાં અઢી ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો, વરસાદની આફતને જોતા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ભરૂચ શહેરની શાળાઓમાં રજા જાહેર કરી હતી,અને વરસાદના પાણીથી પ્રભાવિત થતા વિસ્તારની શાળાઓમાં પ્રિન્સિપાલ દ્વારા રજા અંગેનો નિર્ણય લેવા માટે જણાવવામાં આવ્યું હતું.પરંતુ અંકલેશ્વર શહેરના જલારામ નગર ખાતેની અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું હતું,જોકે વરસાદી પાણી ભરાતા શાળા દ્વારા બાળકોના વાલીઓનો સંપર્ક કરીને રજા આપવામાં આવી હતી,અને આ અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.આ અંગે શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલાએ જણાવ્યું હતું કે સવારના સમયે શાળા પાસે વરસાદી પાણી ભરાયા નહતા અને આ અંગે શાળાના સુપરવાઈઝર સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી,અને શાળામાં પરીક્ષા પણ હતી,જોકે ત્યાર બાદ વરસાદી પાણી ભરાવવાના કારણે તાત્કાલિક બાળકોના વાલીઓનો સંપર્ક કરીને શાળામાં રજા આપવામાં આવી હતી.
