વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના તમિલ પ્રભુત્વવાળા જાફનામાં જાફના કલ્ચરલ સેન્ટરને ભારત અને શ્રીલંકા વચ્ચેની એક મહત્વપૂર્ણ પહેલ ગણાવી છે. વડાપ્રધાને કહ્યું છે કે આ સાંસ્કૃતિક કેન્દ્ર બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે.

તમને જણાવી દઈએ કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ શનિવારે સાંસ્કૃતિક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન ભારતના માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ. મુરુગન પણ હાજર હતા. કાર્યક્રમ દરમિયાન આ સાંસ્કૃતિક કેન્દ્ર જાફનાના લોકોને સમર્પિત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં જાફના કલ્ચરલ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. શનિવારે, તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પર તેમની જાફના મુલાકાતની તસવીરો પણ શેર કરી. પીએમ મોદીએ કહ્યું, હું 2015માં જાફનાની મારી ખાસ મુલાકાતને ક્યારેય ભૂલીશ નહીં, જ્યાં મને જાફના કલ્ચરલ સેન્ટરનો શિલાન્યાસ કરવાની તક મળી. દરમિયાન, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી એલ મુરુગને જાફના કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન કરતી વખતે જાફના યુનિવર્સિટીના આર્થિક રીતે પછાત પરિવારોના 100 વિદ્યાર્થીઓ માટે વિશેષ જાહેરાત કરી હતી.