• ભરૂચના શેરપુરા ગામનો બનાવ

  • મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ

  • ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો

  • તાત્કાલિક કામગીરી બંધ કરવા માંગ

  • તંત્રને કરવામાં આવી રજુઆત

ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્રને રજૂઆત કરી હતી.
ભરૂચના શેરપુરા ગામના રહીશો દ્વારા આજરોજ મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રહીશોના જણાવ્યા અનુસાર શેરપુરા ગામે બીનખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એન.ઓ.સી. તથા આજુબાજુનાં રહીશોની સંમતિ કે એન.ઓ.સી. લીધા સિવાય રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનને બિલકુલ લગોલગ ઇન્ડસ ટાવર લીમીટેડ નામની કંપનીને મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે અને ૪૦૦ ચો.ફુટ જગ્યામાં 30 મીટર ઉંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.
ત્યારે ટાવરના રેડીએશનથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવ જોખમમાં મુકાયો છે.સાથે જ રેડીએશનના કારણે ગંભીર પ્રકારની બિમારી રહીશોને ભવિષ્યમાં થશે તેની દહેશત વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તંત્ર આ કામગીરી બંધ કરાવે એવી માંગ કરવામાં આવી છે.