રાજકોટ: શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રા લઈ પહોંચ્યા, ખોડલધામમાં 100 કિલો ચાંદી સાથે રજત તુલા કરાય
રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રા માટે રાજકોટ જીલ્લામાં પહોંચ્યા હતા. કાગવડના ખોડલધામમાં તેઓએ શીશ ઝુકાવ્યું હતું અને બાદમાં તેમની 100 કિલો ચાંદી સાથે રજત તુલા કરવામાં આવી હતી
પ્રજાનું ઋણ સ્વીકાર કરવા જન આશીર્વાદ યાત્રા માટે શિક્ષણમંત્રી જિતુ વાઘાણી આજે રાજકોટ જિલ્લામાં આવ્યા છે. રાજકોટના કુવાડવા ખાતે તેમનું કંકુ તિલકથી સ્વાગત કરાયું હતું અને બાદમાં ખોડલધામ પહોંચ્યા હતા. મંદિરમાં પ્રવેશે એ પહેલાં પગથિયાં પર નતમસ્તક થઈ મા ખોડલ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. બાદમાં માતાજીનાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું હતું. ધ્વજારોહણ કરતાં પહેલાં જિતુ વાઘાણીએ ધ્વજાને માથું ટેકવ્યું હતું. બાદમાં 100 કિલો ચાંદી સાથે રજતુલા યોજાઈ હતી. આ બાદ તેઓએ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. જિતુ વાઘાણીએ ધો.1થી 5ની સ્કૂલો શરૂ કરવા અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ અંગે તૈયારી કરી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સચિવ અને આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકને સાથે રાખીને કમિટીની રચના કરવામાં આવશે. FRCના નીતિ નિયમોનું પાલન કરવું એ તમામ સ્કૂલની જવાબદારી છે. હાઈકોર્ટની સૂચના પ્રમાણે FRCના ધોરણો છે તે સ્વીકારવા પડે.FRC હાઈકોર્ટના આધારથી નક્કી થયેલી છે.સ્કૂલ, વાલી અને શિક્ષણનું હિત હોય તે રીતે નિર્ણય લઈશું.FRCમાં 25 ટકા ફી માફી એ હાલ અસ્તિત્વમાં છે. એ પ્રમાણે કોઈ ન ચાલે તો કડક પગલા લઈશું. ફીના ધારા ધોરણો હાઈકોર્ટના આદેશ મુજબ નક્કી થઈ ગયા છે.