-
ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું
-
ગોંડલમાં જયરાજસિંહ v/s અલ્પેશ કથીરિયા થવા પામી
-
સામસામેના પડકારથી બન્ને પક્ષના સમર્થકોમાં રોષ
-
પ્રદર્શનીઓએ ધાર્મિક માલવીયાની કારના કાચ તોડ્યા
-
મામલો તંગ બનતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો
રાજકોટ જિલ્લાના ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. જેને લઇને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ રહી છે
રાજકોટ જિલ્લાનું ગોંડલ શહેર એ ભગવતસિંહજીના ગોંડલ તરીકે ઓળખાતુ આવ્યું છે. જોકે, આઝાદી પછી અને ખાસ કરીને 1990 પછી તેનો રાજકીય ઈતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે. ગોંડલનો રાજકીય ઈતિહાસ લોહિયાળ પણ રહ્યો છે. ગત ચૂંટણીમાં ગોડલમાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સામેની બબાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હતી. જોકે, અત્યારે ફરી ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે, જ્યાં વિનુ શિંગાળાની મૂર્તિને ગોંડલમાં સ્થાપવાને લઈને શરૂ થયેલી વાત જયરાજસિંહ જાડેજા v/s અલ્પેશ કથીરિયા થવા પામી છે.
આ ઘટનાના 48 કલાકમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, તા. 27 એપ્રિલે અમે ખુલ્લેઆમ ગોંડલમાં ફરીશું. જેને પણ ચેંલેજ ફેંકી હતી, તે તૈયાર રહે, તારે આજરોજ અલ્પેશ કથીરિયા વિરોધ દર્શાવવા ગોંડલ પહોચ્યા હતા, જ્યાં તેઓની સાથે જીગીશા પટેલ અને ધાર્મિક માલવિયા પણ જોડાયા હતા. ગોંડલની આશાપુરા ચોકડી ખાતે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
તો બીજી તરફ, અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ અને ધાર્મિક માલવિયા ગોંડલમાં આવે તે પહેલાં જ તેમના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાયા હતા. જેમાં પાટીદાર સમાજના યુવાનો સહિત અન્ય સમાજના યુવાનોએ હાથમાં પોસ્ટર સાથે વિરોધ દર્શાવ્યો હતો. જાડેજા પરિવારના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકો ધારાસભ્યના નિવાસસ્થાને ઉમટ્યા હતા.
એટલું જ નહીં, ગોંડલ તાલુકાના રિબડા, ભરૂડી, ભુણાવા, બીલયાળા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો વિવિધ સુત્રોચાર સાથેના પોસ્ટર, બેનર તેમજ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પરંતુ પ્રદર્શનીઓએ ધાર્મિક માલવીયાના વાહનનો ઘેરાવો કરી તોડફોડ કરવામાં આવતા મામલો તંગ બન્યો હતો. અલ્પેશ કથીરિયાએ મૃતક રાજકુમાર જાટ બાબતે પ્રતિક્રિયા આપી હતી. જેમાં જે રીતનો હુમલો થયો છે તે મુજબ શંકાની સોય જાડેજા પરિવાર ઉપર જતી હોવા અંગે અલ્પેશ કથીરિયાએ આક્ષેપ કર્યો હતો.