સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ખારી અમરાપુર ગામે એક ખેતરના કુવામાં બે નીલગાયો ખાબકી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ બે કલાકની જહેમત બાદ બંને નીલગાયોને કુવામાંથી બહાર કાઢી હતી.
પ્રાંતિજના ખારી અમરાપુર ખાતે રહેતા મહેન્દ્રસિંહ ઝાલાના ખેતરમાં આવેલાં ૨૫ ફુટ ઉંડા કુવામા રાત્રી દરમ્યાન બે નીલગાયો ખાબકી હતી. સવારે ખેતરોમાં ગયેલાં ખેડુતોએ કુવામાં પડેલી નીલગાયોને જોઇ હતી. તેમણે પ્રાંતિજ અને હિમંતનગર ખાતે ફાયર વિભાગને જાણ કરી હતી. બંને સ્થળોએથી ફાયરના જવાનો અમરાપુર ગામે આવ્યાં હતાં. બે કલાકની જહેમત બાદ 25 ફુટ ઉંડા કુવામાં ખાબકેલી બંને નીલગાયોને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. રેસ્કયુ ઓપરેશનમાં ટ્રેકટર તથા અન્ય સાધનોની મદદ લેવામાં આવી હતી.