સાબરકાંઠા : શામળાજી હાઇવે પર બેફામ ગતિએ આવતી કારની ટક્કરે મોપેડ સવાર દંપતિનું મોત નીપજ્યું

New Update
સાબરકાંઠા : શામળાજી હાઇવે પર બેફામ ગતિએ આવતી કારની ટક્કરે મોપેડ સવાર દંપતિનું મોત નીપજ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી હાઇવે પર નવલપુર ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માતની ઘટના બનતા અરેરાટી પ્રસરી જવા પામી છે. જેમાં મોપેડ પર જઇ રહેલા દંપતિને બેફામ ગતિએ આવતી કારના ચાલકે ટક્કર મારી હતી, ત્યારે બન્ને પતિ-પત્નિનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે ધસી આવેલા લોકોએ ગાંભોઇ પોલીસ તથા 108ને જાણ કરી હતી.

સમગ્ર અકસ્માતની ઘટના અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, તાલુકાના વાવડી ગામના રહીશ ખેડૂત દંપતિ લાલસિંહ મકવાણા અને કુંદનબેન મકવાણા ગત રવિવારે તેમના પિયર રાયગઢ ગામ જઇ રહ્યા હત. તે દરમ્યાન બપોરના સુમારે પોતાના મોપેડ પર પરત ફરી રહ્યા હતા, ત્યારે શામળાજી-હિંમતનગર ને.હા. 8 પર નવલપુર ગામના સ્ટેન્ડ પાસેથી બેફામ ગતિએ પસાર થતી એક કારના ચાલકે તેઓના મોપેડને ટક્કર મારતા બન્ને પતિ-પત્નિ માર્ગ પર પટકાયા હતા. જેના કારણે બન્નેને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચતા લાલસિંહ મકવાણા અને તેમના પત્નિ કુંદન મકવાણાનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજયું હતું.

ઘટના બાદ પોલીસે બન્ને મૃતદેહોને પીએમ અર્થે ગાંભોઇ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા. પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. વાવડી ગામના દંપતિનું મોત થતા મૃતકના પરિવારજનોમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી છે.

Latest Stories