સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બ્રહ્મપુરી ગામે છેલ્લા આઠ વર્ષથી પોશીનાના ગણવા ગામે રહેતા પરિવારના બે બાળકોને જમ્યા બાદ રાત્રે ઉલટીઓ થતા મોત નીપજ્યા હતા.

સાબરકાંઠાના પોશીનાના ગણવા ગામનો ધ્રાંગી પરિવાર ઇડરના બ્રહ્મપુરીમાં પ્રવીણભાઈ પટેલને ત્યાં ભાગીયા તરીકે આઠ વર્ષથી કામ કરે છે. ત્યારે બે દિવસ પહેલા રાત્રિના સમય પરિવારે છાશ અને ખીચડી આરોગ્યા બાદ રાત્રિના 12 વાગ્યા બાદ અચાનક ઉલટીઓ થવા લાગી હતી અને તબિયત લથડી હતી. જેને લઈને તેઓ આખોય પરિવાર મધરાત બાદ ગણવા ગામે ઘરે ગયો હતો. ત્યાં તબિયત વધુ બગડી હતી અને એક બાળકનું મોત થયા બાદ બીજી બાળકીનું મોત નીપજ્યું હતું. ત્યારે બાકીના પાંચેય સભ્યો શુક્રવારે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ દ્વારા ઇડર પોલીસને જાણ કરતા ઇડર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ શુક્રવારે રાત્રે ખેડબ્રહ્મા સિવિલમાં પહોંચ્યા બાદ પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી શરુ કરી હતી. ત્યારબાદ ખેડબ્રહ્મા અને પોશીના પોલીસ સ્ટેશનમાં પહોંચી મૃત બંને બાળકોના પીએમ માટેની કાર્યવાહી કરી હતી.