રણ, દરિયો અને હવાઇ સીમા ધરાવતા સરહદી ક્ચ્છ જિલ્લામાં સંશોધન ક્ષેત્રે વૈજ્ઞાનિકોને ફરી સફળતા પ્રાપ્ત થઈ છે. જેના કારણે કચ્છમાં ભારતનું પ્રથમ જીઓ પાર્ક બને તેવા ઉજળા સંજોગો છે. ખાસ તો 75 જેટલી ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ ધરાવતી સાઇટ્સ ક્ચ્છ જિલ્લામાં આવેલી છે. આ માટે ક્ચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા દરખાસ્ત પણ કરવામાં આવી છે.
20 વર્ષથી કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તર શાસ્ત્ર દ્વારા શોધાયેલી કચ્છની વિવિધ હેરિટેજ સાઇટ્સની વિગતો તાજેતરમાં ધ યુરોપિયન એસોસિયેશન ફોર કન્સર્વેશન જિઓલોજિકલ હેરિટેજના નામાંકિત જર્નલમાં પ્રકાશિત થઈ હતી. કુદરતી ભૂસ્તરશાસ્ત્રીય સ્થળો અને ભાવિ પેઢી માટેના સ્મારકોનું રક્ષણ કરવાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કચ્છની કેટલીક જીઓસાઇટ્સ જુરાસિક યુગની પણ છે. કચ્છ યુનિવર્સિટીના અર્થ અને એનવાયરમેન્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો તેને જિયો પાર્ક જાહેર કરવામાં આવે તો. તે સ્થાનિકોના આર્થિક વિકાસમાં પણ મદદ કરશે કારણ કે તેઓ પર્યટન સ્થળો બની શકે તેમ છે.
આ 75 સાઇટ્સ નવ ભૌગોલિક મથકો હેઠળ જૂથ થયેલ છે જે ભારતના પ્રથમ ભૌગોલિક ક્ષેત્ર તરીકે જાહેર કરી શકાય છે. આ જીઓ પાર્કમાં લખપત કિલ્લો, માતાના મઢ, ધોળાવીરા, માંડવી બીચ, ભુજિયા હિલ, ગંગેશ્વર મંદિર અને ગઢશીશા બોક્સાઈટ ક્ષેત્ર જેવા અનેક ભૂસ્તરીય સ્થળોનો સમાવેશ થાય છે. યુનેસ્કો દ્વારા જીઓ પાર્ક પ્રોગ્રામ અંતર્ગત જિયો પાર્કને માન્યતા આપવામાં આવે છે, ત્યારે કચ્છ જીલ્લામાં પણ ભૌગોલિક સ્થળોને રક્ષિત કરીને તેનો વિકાસ કરવામાં આવે અને રોજગારી ઊભી કરવામાં આવે તેવો ઉદ્દેશ રહેલો છે.