સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યો નેપાળમાં લાપતા થતા પરિવાર અને તેમના વયોવૃદ્ધ માતા પર આભ તૂટી પડ્યું છે.

નેપાળમાં સર્જાયેલી કુદરતી આફત અને કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન બનેલી દુર્ઘટના બાદ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યો નેપાળમાં લાપતા થતાં સુરત સ્થિત પરિવાર અને તેમના વયોવૃદ્ધ માતા પર આભ તૂટી પડ્યું છે.

મળતી માહિતી મુજબ,મૂળ સુરતના અને યુએસ ખાતે સ્થાયી થયેલા પરેશ પટેલ અને તેમના પત્ની જ્યોતિબેન પટેલ 20મી ઓગસ્ટે કૈલાસ માનસરોવરની યાત્રા અર્થે નેપાળ પહોંચ્યા હતા. જ્યારે મુંબઈ ખાતે રહેતી તેમની દીકરી મીનાક્ષીબેન રામાણી પણ 22મી ઓગસ્ટે આ યાત્રામાં જોડાવા માટે નેપાળ પહોંચી હતી. એક જ પરિવારના આ ત્રણેય સભ્યો ખુશી-ખુશી કૈલાસ માનસરોવરની પવિત્ર યાત્રા માટે રવાના થયા હતા.

ગઈ 23મી ઓગસ્ટે આ પરિવારનો સુરતમાં રહેતા તેમના માતા સાથે છેલ્લો સંપર્ક થયો હતો. ફોન પર વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ માનસરોવર તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ ત્યારબાદ નેપાળમાં સર્જાયેલી હોનારત બાદ પરિવારનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ઘટનાને દિવસો વીતી જવા છતાં કોઈ ભાળ ન મળતાં સુરત સ્થિત વયોવૃદ્ધ માતા અને પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે. પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ વિદેશ મંત્રાલય સમક્ષ અપીલ કરી છે કે નેપાળમાં ફસાયેલા તેમના સભ્યોને ઝડપથી શોધવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવે.