સરથાણામાં આગની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સતત ચોથા દિવસે ગેરકાયદે બાંધકામ અને શેડ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સુરતના વરાછામાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ રેલો આવતા પાલિકાએ કોમર્શિયલ, હોસ્પિટલ, હોટેલ, શોપીંગ મોલ્સ, ધાર્મિક સંસ્થાઓના ટેરેસ પર ગેરકાયદે શેડ તથા ડોમ દૂર કરવાની કામગીરી સતત ચોથા દિવસે યથાવત રહી હતી. મંગળવારે ૮૬ બિલ્ડીગો પરથી ગેરકાયદે બનાવાયેલ શેડ દૂર કરાયા હતા. તેમજ ૫૫ ટીમો બનાવી ૮ ઝોનમાંથી ૨૩૯૪ બેનરો પણ ઉતાર્યા હતાં.
જેમાં અમરોલીમાં સાર્વજનિક કેળવણી મંડળ, જીવન જ્યોત વિદ્યાલય, મનમંદિર વિદ્યાલય, માતૃભુમિ વિદ્યાલય, સર્મપણ કલાસિસ, પી.એન.વાય. કેર , ઝાંઝર દોઢીયા કલાસિસ, શારદા વિદ્યાલય, જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે થી શેડવાળું બાંધકામ દૂર કરાયું હતું.તો નાનપુરામાં રચના એકેડમીની મિલકતને સીલ કરાઇ છે. અઠવા ઝોનમાં ૧૦, રાંદેરમાં ૭, કતારગામમાં ૧૨, વરાછા ઝોન-એ માં ૧૩, વરાછા ઝોન-બી માં ૧૦, લિંબાયત ઝોનમાં ૧૯, ઉધનામાં ૯ અને સેન્ટ્રલ ઝોનમાં પણ ૬ સહિત કુલ ૮૬ બિલ્ડીગો પરથી ગેરકાયદે કરાયેલું ૨.૩૫ લાખ ચો.ફૂટ બાંધકામ પાલિકા દ્વારા દુર કરાયું હતું.