સુરત સિવિલ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યા બાદ માતાનું કોરોનાના કારણે મોત નીપજયું હતું ત્યારે પરિવાર જનો દ્વારા તબીબોની બેદરકારીના કારણે મોત નીપજયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ-19માં સગર્ભા માતાના મૃત્યુ બાદ પરિવારે ડોક્ટરોની લાપરવાહીથી મોત થયું હોવાનો આરોપ લગાડ્યો છે. એટલું જ નહીં પણ મૃત્યુ પાછળ પ્રસૂતાની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું કારણ આપતા ડોક્ટરો સામે પરિવારે રોષ વ્યકત કર્યો છે. મૃતક પૂનમબેન ઉર્ફે ભારતીબેન 18મીએ સિઝરથી બાળકીને જન્મ આપ્યા બાદ તેમનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ-19માં ખસેડાયા હતા. ત્યારબાદ 20 માર્ચના રોજ મૃત જાહેર કર્યા હતા. જ્યાં અંતિમ વીડિયો કોલમાં મહિલા પાણી માટે તરસી રહી હોવાનું કહ્યું હતું અને કોઈ ડોક્ટર પણ હાજર ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના અંગે પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે અચાનક ડોક્ટરોએ પૂનમનો રેપીડ ટેસ્ટ કઢાવ્યો હતો. જોકે, એ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ રાત્રે બીજો RTPCRનો રિપોર્ટ પોઝિટિવ આવતા પૂનમને તાત્કાલિક કોવિડ-19 વોર્ડમાં ખસેડાયા હતા. છેલ્લે એકવાર જ વીડિયો કોલ થયો હતો જેમાં પૂનમબેન પાણી માટે તરસી રહ્યા હતા. કોઈ ડોક્ટર પણ હાજર ન હતું. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવા છતાં વેન્ટિલેટર પર રાખ્યા ન હતા. ત્યારબાદ વીડિયો કોલિંગથી વાત કરવાનો પ્રયાસ કરતા પૂનમબેન બેભાન થઈ ગયા હતા. દરમિયાન 19મીએ પૂનમની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે એક સગર્ભાને અનેકવાર સિવિલમાં સોનોગ્રાફી કરાવાય ત્યારે કિડની કામ કરતી હતી. પ્રસુતિ બાદ જ કિડની ફેઈલ થઈ ગઈ એ વાત ગળે ઉતરે એમ નથી. બીજું કોવિડ-19 હોસ્પિટલમાં કઈ રંધાઈ રહ્યું છે. ક્યાંયને ક્યાંય ડોક્ટરોએ લાપરવાહી કરી હોય એમ લાગે છે. સાહેબ તપાસ કરી અમને ન્યાય આપો એવી જ અમારી વિનંતી છે.