લાજપોર જેલની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ
નારાયણ સાંઈની બેરેકમાંથી મળ્યો મોબાઈલ
દુષ્કર્મ કેસના આરોપી છે નારાયણ સાંઈ
જેલની સ્કોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ
પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
સુરતની લાજપોર જેલમાં બળાત્કારના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા વિવાદાસ્પદ ધર્મગુરૂ નારાયણ સાંઈની બેરેકમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. જેલ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને સચિન પોલીસ સ્ટેશનમાં નારાયણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
સુરત લાજપોર જેલના ઇન્ચાર્જ જેલર દિપક ભાભોરને બાતમી મળી હતી કે, પાકા કામના કેદી નારાયણ સાંઈ પાસે મોબાઈલ ફોન છે. બાતમીના આધારે નારાયણ સાંઈના સેપરેટ સેલની ખોલી નં.1માં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન જેલના લોખંડના દરવાજા પાછળ ચુંબક વડે એક મોબાઈલ ફોન ચોંટાડેલો મળી આવ્યો હતો. એટલું જ નહીં તેની પાસેના થેલામાંથી Jio કંપનીનું એક સીમકાર્ડ પણ મળી આવ્યું હતું. જોકે, નારાયણ સાંઈ ફોન પર વાતચીત કર્યા બાદ ફોનમાંથી બેટરી અને સિમકાર્ડ કાઢી લેતો હતો. સિમકાર્ડ તે પોતાની પાસે રાખતો હતો, જ્યારે બેટરી તે સુરક્ષા માટે સંત્રીરૂમમાં છુપાવી દેતો હતો. ઝડતી દરમિયાન સિપાઈએ સંત્રીરૂમના દરવાજાના અંદરના ભાગે આવેલા નકુચા પાસેથી આ છુપાવેલી બેટરી કબજે કરી હતી.
આ ઘટના અંગે સચિન પોલીસે ગુનો નોંધીને ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યો, તેમાં કોણે મદદ કરી અને ફોનનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવતો હતો, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.