-
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક
-
સરથાણા નેચર પાર્ક પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર
-
છેલ્લા 3 વર્ષમાં 25 લાખથી વધુ પ્રવાસીઓઓની મુલાકાત
-
મહાનગરપાલિકાને 3 વર્ષમાં રૂ. 7.06 કરોડની આવક થઇ
-
ઝૂમાં 54 વિવિધ પ્રજાતિના પશુ-પક્ષીઓ રાખવામાં આવ્યા
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં છેલ્લા 3 વર્ષમાં 25 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેનાથી મનપાને 3 વર્ષમાં રૂ. 7.06 કરોડની આવક થઇ છે. હાલમાં ઝૂમાં 54 વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક 81 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે, અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ, નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે 10 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે.
હાલમાં આ ઝૂમાં 54 વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે. જેમાં 24 પ્રજાતિના 128 મેમલ પ્રાણીઓ, 27 પ્રજાતિના 294 પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપટાઈલ સામેલ છે. ઝૂની વિશેષતા તરીકે જળ બિલાડીઓનું સંરક્ષણ અને સંચાલન મહત્વપૂર્ણ છે.
સમગ્ર ભારતમાં ઝૂમાં જળ બિલાડીઓ માટે ખાસ બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી, પણ અહીં 27 જેટલી જળ બિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે. સાયન્ટિફિક મેનેજમેન્ટના કારણે દર વર્ષે 5થી 7 બચ્ચાઓ જન્મે છે. અત્યાર સુધીમાં સરથાણા ઝૂમાંથી કુલ 18 જળ બિલાડીઓ અન્ય પ્રાણી સંગ્રહાલયમાં આપવામાં આવી છે.
જોકે, સરથાણા નેચર પાર્કની વાર્ષિક આવક પર નજર કરીએ તો વર્ષ 2022માં 9.41 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેની રૂ. 2.56 કરોડની આવક થઈ હતી. વર્ષ 2023માં 8.78 લાખ પ્રવાસીઓ અને રૂ. 2.76 કરોડની આવક, 2024માં અત્યાર સુધીમાં 6.32 લાખ પ્રવાસીઓ અને રૂ. 1.74 કરોડની આવક થઈ છે. એટલે કહી શકાય કે, 3 વર્ષમાં મનપાને રૂ. 7.06 કરોડની આવક થઇ છે. ખાસ કરીને દિવાળી અને ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓનો ખૂબ ધસારો રહે છે.
વધુમાં અહી પક્ષીઓ અને પ્રાણીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા અનુસાર, કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવે છે. સીઝેડએ દ્વારા દર 2 વર્ષે ઝૂનું મોનિટરિંગ કરવામાં આવે છે, અને તેમના સલાહ-સૂચનો, માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય છે.
હાલમાં પ્રવાસીઓના આકર્ષણ માટે સફેદ વાઘ, સિંહ, રીંછ અને હિપોપોટેમસ સહિત વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે. પ્રવાસીઓની સુવિધા માટે બેટરીથી ચાલતી બસ અને દિવ્યાંગ, અશક્ત મુલાકાતીઓ માટે વ્હીલચેર જેવી પણ સરથાણા નેચર પાર્કમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.