ડાયમંડ ઉદ્યોગ છે મંદીના બિછાને, રત્નકલાકારોની હાલત બની દયનીય, રત્નકલાકારોના બાળકોને કરાઈ શૈક્ષણિક મદદ
સુરત ડાયમંડ નગરીમાં હીરા ઉદ્યોગ હાલ મંદીના મારમાં બીમાર પડ્યો છે,જેના કારણે રત્નકલાકારોની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયને તેઓ માટે મદદનો હાથ લંબાવ્યો છે, અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને અંદાજીત 1 લાખ જેટલા ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
સુરતમાં હીરા ઉદ્યોગની મંદી વચ્ચે રત્નકલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયન મદદરૂપ બન્યું છે,હીરા ઉદ્યોગ જ્યાં મંદીના મારમાં સપડાયો છે,તો બીજી તરફ રત્નકલાકારોની પરિસ્થિતિ પણ દિનપ્રતિદિન દયનીય બની છે,ત્યારે આર્થિક રીતે કપરા ચઢાણ ચઢતા રત્નકલાકારોની વ્હારે ડાયમંડ વર્કર યુનિયન આવ્યું છે.
શહેરના સરદાર સ્મૃતિ ભવનમાં ડાયમંડ વર્કર યુનિયન અને રત્નકલાકાર વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ચોપડા વિતરણ તેમજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંદાજિત 10 હજાર જેટલા રત્નકલાકારોના બાળકોને 1 લાખ જેટલા ચોપડાનું નિઃશુલ્ક રીતે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મનોચિકિત્સક મુકુલ ચોકસી,ડીસીપી ઝોન 1 સુરત શહેર પોલીસ અને હીરા ઉદ્યોગકાર તેમજ રત્નકલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સુરત પોલીસે વધતા આપઘાતની ઘટનાઓને અંકૂશમાં લેવા માટે વિશેષ માહિતી આપી હતી. જ્યારે મનોચિકિત્સક મુકુલ ચોકસીએ પણ રત્નકલાકારોને આપઘાત ન કરવા માટે વિશેષ સમજણ આપી હતી.