સુરત : પરિવારના 6 સભ્યને મોતને ઘાટ ઉતારી આપઘાત કરનાર સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો..!

મનીષ ઉર્ફે શાંતુ કનુ સોલંકી અને તેની પત્ની, 3 સંતાન તથા માતા-પિતાના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી

New Update
સુરત : પરિવારના 6 સભ્યને મોતને ઘાટ ઉતારી આપઘાત કરનાર સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો..!

પાલનપુરમાં 7 સભ્યોનો સામૂહિક આપઘાતનો મામલો

સામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી

આપઘાત કરનાર સામે પરિવારની હત્યાનો ગુનો નોંધાયો

સુરતમાં ચકચાર મચાવનાર પાલનપુર જકાતનાકા વિસ્તારના સોલંકી પરિવારના 7 સભ્યોના સામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસે આપઘાત કરનાર મનીષ સોલંકી વિરુદ્ધ પરિવારના સભ્યોની હત્યાનો ગુનો નોંધ્યો છે. સુરત શહેરના પાલનપુર જકાતનાકા સ્થિત સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં ગત તા. 28 ઓકટોબરે મનીષ ઉર્ફે શાંતુ કનુ સોલંકી અને તેની પત્ની, 3 સંતાન તથા માતા-પિતાના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી.

આ કરુણ ઘટનામાં મનીષ સોલંકી દ્વારા ભરવામાં આવેલા આત્યાંતિક પગલા પાછળનું કારણ જાણવા DCP ઝોન-5 આર.પી.બારોટની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવામાં આવી હતી. આ એસઆઇટી દ્વારા પોલીસ કમિશનર અજયકુમા૨ તોમરને અત્યાર સુધીનો તપાસ રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે. જેમાં પોલીસે અત્યાર સુધી 112 જેટલા લોકોના નિવેદનો લીધાં છતાં એક પણ નિવેદનમાં મનીષના મોતના કારણની ચોક્કસ કડી જાણવા મળી નથી.

હવે પોલીસે FSLમાંથી દંપતીના મોબાઇલમાંથી કંઈ કડી મળે તેની રાહ જોઈ રહી છે. અત્યાર સુધીની તપાસ અંતર્ગત લાગણીશીલ સ્વભાવનો મનીષ ડિપ્રેશનમાં હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે. જેના આધારે પોલીસે મનીષ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. જેમાં 4 સભ્યોને ઝેરી દવા અને 2 લોકોનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.