સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે રાજવી પરિવાર દ્વારા સતી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હાડી માઁનો ચુંદડી મહોત્સવ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના મહારાણા માધવસિંહજીના વંશજો દ્વારા ઐતિહાસિક પરંપરા જાળવીને વઢવાણ-ચુડા રાજવી પરિવાર અને માધાણી ઝાલા પરિવારના શ્રધ્ધેય પૂ. માં સાહેબ સતીશ્રી હાડીમાઁનો ચુંદડી મહોત્સવ તથા પૂ.માં સાહેબ સતીશ્રી રાઠોડ માઁની પૂજન વિધિના દિવ્ય પ્રસંગે શ્રાવણ વદ પાચમના દિવસને સતીત્વ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે સમગ્ર દેશમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત તથા ઝાલાવાડના સર્વે રાજવી પરિવારો, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના અન્ય શાખાના આગેવાનો તેમજ માધાણી ઝાલાના 23 ગામોના પરિવારનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભાવનાત્મક અને સામાજિક એકતાના પાવન પ્રસંગે અવસરને અનુરૂપ પૂજન વિધિ તથા ચુંદડી મહોત્સવ વઢવાણ હાડી માઁના સ્થાનકે યોજાયો હતો. આ પૂજન વિધિમાં વઢવાણના ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહ ઝાલા, માહારાજ સિદ્ધાર્થસિંહ, વઢવાણના યુવરાજસિંહ, રુદ્રદત્તસિંહ ઝાલા, મનહરસિંહ રાણા, કારોબારી ચેરમેન સહિતના આગેવાનો મોટી સંખ્યામાં શ્રત્રિય લોકો ઉપસ્થિત રહ્યા હતા.