/connect-gujarat/media/media_files/2024/11/01/Cxr5mjaevxWSHP2rFqlJ.jpg)
IRCTC એ એડવાન્સ ટિકિટ બુકિંગના નવા નિયમો આજથી એટલે કે 1 નવેમ્બર 2024થી લાગુ થઈ ગયા છે. જો તમે પણ રેલવે રિઝર્વેશન માટે IRCTC એપ કે વેબસાઈટનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે રેલવેના આ નવા નિયમ વિશે જાણવું જોઈએ. ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને તેની મર્યાદા હવે ઘટાડી દીધી છે. ભારતીય રેલવેના આધિકારિક ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મે હવે એડવાન્સ ટિકિટ બુક કરવાની અવધિને 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી દીધી છે.
ભારતીય રેલવેએ ગયા મહિને આની જાહેરાત કરી દીધી હતી. IRCTC પ્લેટફોર્મની સાથે સાથે આ નવો નિયમ કોઈપણ થર્ડ પાર્ટી ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ કે એપ જેમ કે Paytm, Ixigo, Make My Trip પર પણ લાગુ છે. સાથે જ, આ નિયમ ઓફલાઈન કે કાઉન્ટર ટિકિટ પર પણ લાગુ થશે. ટ્રેનમાં વધતી વેઇટિંગ લિસ્ટને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં આ ફેરફાર કર્યો છે. ખાસ કરીને તહેવારોની સીઝનથી ચાર મહિના પહેલા જ ઘણી ટ્રેનોમાં ટિકિટ ફુલ થઈ જતી હતી, જેના કારણે ઘણા રેલ યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
IRCTC પ્લેટફોર્મ દ્વારા યુઝર્સ હવે 120 દિવસને બદલે 60 દિવસ પહેલા એડવાન્સ ટિકિટ બુક કરી શકશે. એપ અને વેબસાઈટથી કોઈપણ સમયે રેગ્યુલર ટિકિટ બુક કરી શકાય છે. જ્યારે તત્કાલ ટિકિટ ટ્રેનના શેડ્યુલ ડિપાર્ચરથી 24 કલાક પહેલા બુક કરી શકાય છે. તત્કાલ ટિકિટની વિંડો સવારે 10 વાગ્યે એસી માટે અને 11 વાગ્યે નોન એસી માટે ખુલે છે. આથી જો તમે પણ એડવાન્સમાં કોઈ ટ્રેનની ટિકિટ બુક કરવા માંગો છો તો હવે તમે માત્ર 60 દિવસ પહેલા જ ટિકિટ બુક કરી શકો છો.
જ્યારે તત્કાલ ટિકિટ માટે તમારે બરાબર 10 વાગ્યે અને 11 વાગ્યે લોગ ઇન કરવું પડશે. આ ઉપરાંત એક વાર લોગ ઇન કર્યા પછી એક જ PNR નંબર જનરેટ કરી શકાય છે. બીજી ટિકિટ એટલે કે PNR માટે તમારે ફરીથી IRCTC ની એપ કે વેબસાઈટમાં લોગ ઇન કરવું પડશે. ભારતીય રેલવેનો આ નિર્ણય ટિકિટોની કાળાબજારી રોકવા માટે લેવામાં આવ્યો છે.