વડોદરાના ધનોરાના જગતપુરા ગામમાં બુટલેગરો ગામમાં પ્રવેશવા દેતાં ન હોવાથી એક પરિવારના કિશોરે કલેકટર કચેરી ખાતે શરીરે જવલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં નાસભાગ મચી ગઇ હતી.
વડોદરાના ધનોરાના જગતપુરા ગામમાં નરેશ ગોવિંદભાઇ ગોહિલ પરિવાર સાથે રહે છે. ત્રણ વર્ષ પૂર્વે તે ગામમાં દારૂનો ધંધો કરતા ઉપેન્દ્ર ગોહિલ અને મહેશ ગોહિલ નામના બુટલેગરના ત્યાં કામ કરતા યુવાનના કહેવાથી બુટલેગરના ઘરે મોબાઇલ ફોન આપવા માટે ગયો હતો. બુટલેગરોના ઘરે કોઇ ન હોવાથી નરેશે બુટલેગરોના ઘરમાં હાજર મહિલાઓને મોબાઇલ ફોન આપ્યો હતો. જેની અદાવત રાખી બુટલેગરોએ નરેશ ગોહિલને માર માર્યો હતો. અને ગામમાં રહીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી.
બુટલેગરોની ધમકીથી ફફડી ગયેલ નરેશ ગોહિલ સાવલી તાલુકાના સીતાપુરા ગામમાં રહેતા મામાના ઘરે રહેવા માટે જતો રહ્યો હતો.છેલ્લા ત્રણ વર્ષથી પોતાનું ગામ છોડીને મામાના ઘરે રહેતા નરેશ ગોહિલે પોતાના ગામમાં પરત ફરવા માટે અનેક વખત પ્રયાસ કર્યો હતો. નરેશ ગોહિલે આ બાબતે અનેક વખત પોલીસમાં લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરી હતી દરમિયાન આજે નરેશ ગોહિલ જ્વલનશિલ પદાર્થ ભરેલા કારબા સાથે મામાના ઘરેથી સીધો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યો હતો. અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે કલેક્ટર કચેરીમાં તૈનાત પોલીસે નરેશ ગોહિલને આમ કરતાં રોકી લીધો હતો. બુટલેગરોના ડરથી પુત્ર નરેશ આત્મવિલોપન કરવાનો હોવાની જાણ માતા, બહેન સહિત પરિવારને થતાં પરિવારજનો કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા.