રાજ્યભરમાં નવા ઢોર નિયંત્રણ કાયદાના અમલ બાદ શહેરી વિસ્તારમાં ઢોર રાખવા હોય તો તેની નોંધણી ફરજીયાત કરાવવાની રહે છે. તેમ છતાય વડોદરા શહેરમાં કેટલાક પશુપાલકો દ્વારા નોંધણી નહીં કરતાં પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સુભાનપુરા વિસ્તારમાં પરવાનગી વિનાના ઢોરવાડાને તોડી પાડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં રખડતા ઢોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ઢોર નિયંત્રણ કાયદાનું પાલન કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માંગતા પશુપાલકોએ તેની નોંધણી ફરજીયાત કરવાની રહે છે. તેમ છતાય હજી સુધી અનેક પશુપાલકોએ નોંધણી કરાવી નથી. તેવામાં સુભાનપુરા વિસ્તારના કૃણાલ ચાર રસ્તા નજીક આવેલ ઢોરવાડામાં નોંધણી વિના પશુઓ રાખવામાં આવ્યા હોવાની પાલિકાના સત્તાધીશોને માહિતી મળી હતી. આ મામલે પશુપાલકોને વારંવાર નોટીસ આપ્યા છતાય નોટિસને અવગણીને ઢોરવાડાની નોંધણી કરાવી ન હતી. જેથી પાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓએ સાથે મળીને ઢોરવાડાને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ, વળતામાં ઢોરવાડાના માલિકે તંત્ર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. નોટીસ આપ્યા છતાય રજીસ્ટ્રેશન નહીં કરાવનાર પશુપાલકે તંત્ર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, પાલિકા તંત્ર ખોટી રીતે હેરાનગતિ કરે છે. અમારે પશુ રાખવા શેની પરવાનગી લેવાની હોય.?, તંત્ર અમને આતંકવાદી બનવા મજબુર કરતાં હોવાની વાત પણ પશુપાલકે જણાવી હતી.