/connect-gujarat/media/post_banners/7a33b0d9568173fe578faa974b3495656b4b67d728a23cab4675481ec77b3544.jpg)
વડોદરા જિલ્લાના કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુરગ્રસ્ત લોકોને સહાય આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરના પગલે વડોદરાના કરજણ તાલુકાના નદી કાંઠા વિસ્તારોના ગામોમાં જે નુકશાન થયું છે, તે નુકશાની ના વળતર પેટે પુર અસરગ્રસ્તોને સહાય આપવાની માંગ સાથે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આ દરમ્યાન કરજણ તાલુકા સેવા સદન સંકુલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, વડોદરા જિલ્લા કોંગ્રેસ સંગઠન પ્રભારી માનસિંગ ડો ડીયા, કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પીન્ટુ પટેલ, વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અભિષેક ઉપાધ્યાય, કોંગી અગ્રણીઓ ભરત અમીન, ભાસ્કર ભટ્ટ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, કરજણ તાલુકાના પરા, લીલીપરા, નાની કોરલ, મોટી કોરલ, આલમપુરા, સગડોળ, નવી સાયર, જૂની સાયર, લીલોડ, રારોદ, ઓઝ, પુનિતપુરા, પાછીયાપુરા અને સોમજ દેલવાડા સહિતના ગામોમાં રહેતા ખેડૂતોનો તૈયાર પાક સદંતર નિષ્ફળ ગયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે ખેડૂતોની હાલત ખૂબ જ ગંભીર બની હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું. હાલ તો પુર અસરગ્રસ્તો માટે સરકાર દ્વારા મોટું પેકેજ જાહેર કરી તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.