/connect-gujarat/media/post_banners/e522037840236c22843a31032974db8bcb994cc9f9b844294eb656696db0f4a2.webp)
નવી દિલ્હીમાં ઈઝરાયલની એમ્બેસી પાસે થયેલા વિસ્ફોટ બાદ ઈઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં પોતાના નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે. ઈઝરાયલે આ હુમલાને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઈઝરાયલે યહૂદીઓ અને પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે અને સંભવિત ખતરાથી બચવા સાવધાન રહેવા કહ્યું છે. નોંધનીય છે કે ઈઝરાયલની એમ્બેસી નવી દિલ્હીના ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્ક્લેવમાં સ્થિત છે.
ઇઝરાયલ દૂતાવાસના પ્રવક્તા ગાઇ નીરનું કહેવું છે કે દૂતાવાસની નજીક સાંજે લગભગ 5:48 વાગ્યે વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ આ મામલે તપાસ કરી રહી છે. હુમલામાં કોઈને ઈજા થઈ નથી. ઈઝરાયલે પોતાના નાગરિકોને સાવધાન રહેવા કહ્યું છે. યહૂદી નાગરિકોને મોલ અને બજારો જેવા ભીડવાળા સ્થળોએ ન જવાની સલાહ આપવામાં આવી છે. લોકોને રેસ્ટોરાં, હોટલ, પબ અને અન્ય સ્થળો સહિત જાહેર સ્થળોએ સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. યહૂદીઓને ગ્રુપમાં એકસાથે ક્યાંય જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ક્યાંય જાય તો તમારી ઓળખ સામાન્ય લોકો સાથે શેર ન કરો અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાનું ટાળો.