પાકિસ્તાનમાં કાળઝાળ ગરમીનો અંત નથી આવી રહ્યો છે. છેલ્લા 6 દિવસમાં અહીં 568 લોકોના મોત થયા છે. જેમાંથી મંગળવારે (25 જૂન) 141 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં 24 જૂને તાપમાનનો પારો 41 ડિગ્રી નોંધાયું હતું.
રિપોર્ટ અનુસાર છેલ્લા 3 દિવસમાં તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જો કે હવામાં વધુ પડતા ભેજને કારણે ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના કારણે 40 ડિગ્રી તાપમાન પણ 49 ડિગ્રી જેવું લાગે છે. છેલ્લા 4 દિવસમાં 267 લોકોને હીટસ્ટ્રોકના કારણે કરાચી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કરાચીમાં 4 શબઘર છે પરંતુ સ્થિતિ એવી છે કે મૃતદેહો રાખવા માટે શબઘરમાં જગ્યા બચી નથી. અહીં દરરોજ 30-35 મૃતદેહો આવી રહ્યા છે. ડોન ન્યૂઝ અનુસાર, ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓને અત્યાર સુધી કરાચીમાં રસ્તા પરથી 30 લોકોના મૃતદેહ મળ્યા છે.