/connect-gujarat/media/media_files/2025/12/11/war-2025-12-11-13-36-32.jpg)
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી તણાવ હવે ગંભીર સંઘર્ષમાં બદલાઈ ગયો છે અને ચાર દિવસથી ચાલતા હુમલાઓએ સરહદ નજીકના વિસ્તારોમાં ભયનું વાતાવરણ સર્જી દીધું છે.
લાખો લોકો પોતાના ઘરો છોડીને સલામત સ્થળે ખસેડાઈ ચૂક્યા છે. બુધવારે થાઈલેન્ડના F-16 વિમાનો દ્વારા કંબોડિયાના ગામો પર બોમ્બમારો કરવામાં આવ્યો, જ્યારે કંબોડિયાએ વળતા પ્રહાર હેઠળ થાઈલેન્ડની હોસ્પિટલને નિશાન બનાવી રોકેટ હુમલો કર્યો.
થાઈ એરફોર્સના F-16 વિમાનોએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પ્રેહ વિહાર મંદિર, આસપાસના ગામો અને એક પ્રાથમિક શાળા પર હુમલા કર્યા. પરિસ્થિતિને નિયંત્રિત કરવા થાઈ સરકારે ચાર જિલ્લાઓમાં કર્ફ્યુ ઘોષિત કર્યો છે.
કંબોડિયાની તરફથી સવારે 8:40 વાગ્યે ફનોમ ડોંગ રક હોસ્પિટલ પર છ રોકેટ ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે દર્દીઓ અને તબીબી સ્ટાફને તાત્કાલિક સુરક્ષિત સ્થળ પર ખસેડવા પડ્યા. બુધવારે કુલ 12 જુદા-જુદા સ્થળોએ અથડામણોની નોંધ લેવાઈ.
થાઈ સેનાએ દાવો કર્યો છે કે કંબોડિયાએ અત્યાર સુધીમાં 5,000થી વધુ રોકેટ છોડ્યા છે, સાથે જ અનેક સ્થળોએ આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો છે. આ સંઘર્ષમાં અત્યાર સુધી થાઈલેન્ડના 4 સૈનિકો માર્યા ગયા અને 68 ઘાયલ થયા છે, જ્યારે કંબોડિયાનાં 61 સૈનિકો અને 9 નાગરિકોના મૃત્યુ થયા હોવાનું અહેવાલો કહે છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ તણાવ અંગે નિવેદન આપતા કહ્યું,
“મારે ફોન કરવો પડશે… હું બંને દેશો વચ્ચેનું યુદ્ધ રોકાવીશ.”
પરંતુ થાઈ વડા પ્રધાને જવાબ આપ્યો કે આ મામલો માત્ર બંને દેશોનો આંતરિક છે અને કોઈ ત્રીજો દેશ તેને “ફોનથી ઉકેલી” શકે એવી બાબત નથી. કંબોડિયાએ પણ જણાવ્યું કે તેઓ ફક્ત આત્મરક્ષામાં જવાબ આપી રહ્યા છે અને વાતચીત માટે તૈયાર છે.