તાઉ-તે વાવાઝોડા બાદ હવે દેશમાં અન્ય એક ચક્રવાત યાસ વાવાઝોડાનો ભય તોળાઈ રહ્યો છે. યાસ વાવાઝોડું બુધવારના રોજ ઓડિશા સહિત પશ્ચિમ બંગાળના દરિયા કિનારાના વિસ્તારોમાં ત્રાટકશે. આ પહેલા આજથી જ અહીના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ચક્રવાત યાસ વાવાઝોડું સોમવારની રાતથી અસરકારક બનવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે યાસ વાવાઝોડું બુધવારે પારાદીપ સહિત સાગર આઇલેન્ડ વચ્ચે ત્રાટકશે એવી સંભાવના પણ છે. આ અસરના કારણે 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, અને દરિયામાં પણ 2થી 3 મીટર સુધી મોજા ઊછળી શકે છે.
જોકે, દરિયા કાંઠાથી પસાર થયા બાદ બુધવારે બપોર સુધીમાં યાસ વાવાઝોડાની અસરમાં વધુ વધારો થવાની સંભાવના છે, ત્યારે આ અસરના કારણે બંગાળના વિવિધ વિસ્તારોમાં આજથી જ વરસાદ વરસવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. યાસ વાવાઝોડાના પગલે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રાહત ટીમો તૈનાત કરવામાં આવી છે. તો સાથે જ NDRFની ટીમે પૂર્વ મેદિનીપુર અને દિધાના કેટલાક વિસ્તારોને સોમવારના રોજ ખાલી કરાવ્યા હતા.
ઉપરાંત એરફોર્સ અને નેવી દ્વારા કેટલાક હેલિકોપ્ટર અને બોટને રાહત કાર્ય માટે રાખવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તો સાથે જ યાસ વાવાઝોડાની અસર અમ્ફાન વાવાઝોડા કરતાં પણ વધુ ખતરનાક હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ હતું.