એક એકર જમીનમાં તૈયાર થયેલા મગફળીના પાકને લણવા માટે લાગે છે માત્ર એક કલાક
સૌરાષ્ટ્ર પંથકમાં મગફળીનો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે. તેવામાં તૈયાર પાકને લણવામાં ખેડૂતોને ભારે મુસિબત પડી રહી હતી. મજૂરોની અછતનાં કારણે ખેડૂતોને તકલીફ પડી રહી હતી. જોકે મગફળી પકવતા ખેડૂતો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ખેતરમાં ઉભેલા મગફળીના પાકને ઝડપથી ઉપાડી શકાય તે માટે જૂનાગઢના સંજય ટીલવા નામના યુવાને મશીન બનાવ્યું છે. જે મશીનની મદદથી ગણતરીની મિનીટોમા ખેતરમા ઉભેલ મગફળીના પાકને ઝડપથી ઉપાડી શકાય છે.
સંજય ટીલવાએ પોતાના સંશોધન અંગે જણાવ્યું હતું કે, ખેડૂતો માટે સિઝનમાં મજૂરોની અછતનો પ્રશ્ન હળવો થશે. સાથોસાથ ખેડૂતો ખેતરમાં તૈયાર થયેલ મગફળીનો પાક પણ ઝડપથી ઉપાડી શકશે. જેથી મગફળીની ખેતીમાટે થતો ખેડુતનો ખર્ચ પણ બચશે.
સંજય ટીલવા પોતે વંથલી તાલુકાના ઝાંપોદર ગામના વતની છે. હાલ તેઓ રાજકોટ રહે છે. તેમણે બિકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. થોડા વર્ષો પહેલા જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ પડયો હતો. જેથી મગફળીનાં ઉભાપાકને નુકશાન પહોચ્યું હતું. આ સમયે પરિસ્થિતીથી હારવાને બદલે તેનો સામનો કરવાનો નિશ્ચય કર્યો હતો. તેથી સંજય ટીલવાએ મગફળીના તૈયાર પાકને ઝડપથી ઉપાડી શકાય તે માટે મશીન બનાવાનો નિર્ણય કર્યો હતો.
વર્ષ 2006-2007ના વર્ષમાં મગફળી ઉપાડવા માટેનુ મશિન બનાવવી શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રયોગો પણ કર્યા હતા. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા સંજય ટીલવા એ જણાવ્યુ હતુ કે, પોતે એક ખેડુત પુત્ર છે. મગફળીનો પાક જ્યારે તૈયાર થઈ જાય છે. ત્યારે મજુરો મળતા નથી હોતા તો સાથે જ તેને ઉપાડવાની કિંમત મોંધી પડતી હોઈ છે. ઉનાળુ પાક અંતર્ગત મગફળીના પાકનું વાવેતર કર્યું હોય ત્યારે વહેલા વરસાદની ચિંતા પણ ખેડૂતોને સતાવતી હોઈ છે.
સંજય ટીલવાનુ કહેવુ છે કે તેમણે બનાવેલ મશીન દ્વારા એક કલાકમાં દોઢ એકર વિસ્તારમાંથી મગફળી કાઢી શકાય છે. સંજય ટીલવા એ બનાવેલ મશીનની કિંમત માત્ર રૂપિયા 1.15લાખ છે. જેનુ વેચાણ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં થઈ રહ્યુ છે.