વેજ રિવિઝન સહિતની પડતર માગણીઓ સંદર્ભમાં નેશનલાઇઝ્ડ બેન્કના કર્મચારી યુનિયને ૩૦ અને ૩૧ મે ૨૦૧૮ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. જેને લઈને બુધવાર અને ગુરુવારના રોજ તમામ નેશનલાઇઝ્ડ બેન્કોમાં ક્લિયરિંગ કામગીરી ખોરવાશે.
બુધવારથી શરૂ થતી સ્ટ્રાઇકની અસર મંગળવારથી જ શરૂ થઈ જશે. મંગળવારના રોજ નેશનલાઇઝ્ડ બેન્કોમાં રજૂ થનારા ક્લિયરિંગ સામેનું રિટર્ન ક્લિયરિંગ છેક શુક્રવારના રોજ પાર પડી શકશે. જેથી મંગળવારના રોજ ખાતેદાર દ્વારા રજૂ ક્લિયરિંગમાં રજૂ થનારા ચેકની રકમ છેક શુક્રવારના રોજ સાંજે જમા મળી શકશે. આ પ્રકારે મંગળવારે રજૂ થનારા ક્લિયરિંગ સામેના રિટર્ન ક્લિયરિંગ તથા બુધવાર અને ગુરુવારના રોજ રજૂ થનારા રોજિંદા ક્લિયરિંગની કામગીરી ખોરવાશે.
યુનાઇટેડ ફોરમ્સ ઓફ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા વિવિધ પડતર માગણીઓ તથા કેટલીક બેન્ક પોલિસીના વિરોધમાં બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી લગભગ ૧૭,૦૦૦ના બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાશે. આ હડતાળ ફક્ત રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની છે. જેમાં ખાનગી અને સહકારી બેન્કોના કર્મચારીઓ જોડાવાના નથી. પરંતુ, બેન્ક હડતાળની અસર તમામ બેન્કના વહીવટી કામકાજ પર જોવા મળશે. ખાસ કરીને સહકારી અને ખાનગી બેન્કોમાં રજૂ થનારા ક્લિયરિંગમાં રાષ્ટ્રીયકૃત બેન્કના ચેકના કિસ્સામાં ક્લિયરિંગ ડિસ્ટર્બ થશે.
સહકારી અને ખાનગી બેન્કોમાં ક્લિયરિંગ ચાલુ રહેશે
હવે તમામ બેન્કોનુ ક્લિયરિંગ વેસ્ટર્ન ગ્રીડમાં મુંબઈ ખાતેના એનપીસીઆઈ (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) ખાતેથી હાથ ધરાય છે. સહકારી અને ખાનગી બેન્કો ચાલુ હોય, તેઓ દ્વારા તેઓના ખાતેદારો પાસે રોજિંદુ ક્લિયરિંગ સ્વીકારવામાં આવશે અને એનપીસીઆઈમાં રજૂ પણ કરવામાં આવશે. જો કે, નેશનલાઇઝ્ડ બેન્કોની હડતાળ હોય, તેઓના ક્લિયરિંગ સામેનું રિટર્ન રજૂ થશે નહીં. જેથી સહકારી અને ખાનગી બેન્કોના કર્મચારીઓ દ્વારા રજૂ થયેલા નેશનલાઇઝ્ડ બેન્કના ચેક સામેની રિટર્ન કામગીરી ખારવાઈ શકે છે. અગાઉ આ પ્રકારની સ્ટ્રાઇક સમયે મોટા પ્રમાણમાં ચેક રિટર્ન થવાના અને મિસમેચના કિસ્સા બન્યા હતા. જે મુજબની મુશ્કેલી સર્જાવાની પણ ભીતિ છે.