ઉત્તરપ્રદેશના કુશીનગરમાં આજે વહેલી સવારે મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં ટ્રેન અને સ્કુલ બસ ધડાકાભેર અથડાતા અકસ્માતમાં ૧૩ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તો અન્ય અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે વાનમાં કુલ ૨૦થી પણ વધુ વિદ્યાર્થીઓ સવાર હતા.
જાણવા મળી રહ્યું છે કે ડિવાન પબ્લિક સ્કુલની બસ સવારે વિદ્યાર્થીઓને લઇને શાળા તરફ જઇ રહી હતી. આ દરમિયાન વિશુનપુરા થાણાની દુદહી રેલવે ક્રોસિંગ પાસેથી થાવે-બઢની પેસેન્જર ટ્રેન પસાર થઇ રહી હતી. સ્કુલ બસ જ્યારે રેલવે ટ્રેક પરથી પસાર થઇ રહી હતી. ત્યારે સ્કુલ બસ ટ્રેન સાથે ટકરાઇ હતી.
ઉત્તરપ્રદેશમાં ઘટેલી આ દુર્ઘટના અંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમગ્ર ઘટનાની જીણવટ પૂર્વક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અને તેમણે દુર્ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારને રૂ.બે લાખ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં બસ ચાલકનું પણ મૃત્યુ થયું છે.