ખરાબ હવામાનના કારણે નવી સમસ્યા સર્જાઈ : આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન ખરાબ રહેશે
ઉત્તરાખંડમાં આગામી પાંચ દિવસ સુધી ખરાબ હવામાન રહેવાની ચેતવણી જારી કરવામાં આવી છે. પ્રચંડ પવનની સાથે ભારે વરસાદ પણ થઇ શકે છે. કેટલીક જગ્યાઓએ ૧૫, ૧૬ અને ૧૭મી મેના દિવસે હળવો વરસાદ પડી શકે છે. છેલ્લા દિવસોમાં ઉત્તરાખંડની પહાડીઓ ઉપર ભારે હિમવર્ષા અને વરસાદના પરિણામ સ્વરૂપે ચારધામની યાત્રા એક દિવસ માટે રોકી દેવામાં આવી હતી. અલબત્ત હવે ચારધામની યાત્રા ફરી શરૂ થઇ ચુકી છે પરંતુ હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે, ખરાબ હવામાનની સ્થિતિ ફરી ઉભી થઇ શકે છે. આગામી પાંચ દિવસ સુધી ચારધામની યાત્રા રોકવામાં આવી શકે છે.
અત્રે નોંધનીય છે કે, ૧૮મી એપ્રિલના દિવસે અક્ષયતૃતિયાના દિવસે ગંગોત્રી અને યમનોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા પરંતુ કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ૨૯મી એપ્રિલ અને ૩૦મી એપ્રિલના દિવસે ખોલવામાં આવ્યા હતા. ચાર મંદિરોના પ્રવેશદ્વાર ખુલતાની સાથે જ સત્તાવારરીતે ચારધામની યાત્રા શરૂ થઇ હતી. ચારધામની યાત્રા દરમિયાન ઘણીબધી સાવધાની રાખવાની હોય છે. ચારધામની યાત્રા દરમિયાન તમામ શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન જરૂરી દવાઓ સાથે રાખવી જોઇએ. આ ઉપરાંત નાની મોટી તકલીફ જેમ કે પેટમાં દુખાવો, ઝાડા ઉલ્ટી અને તાવની સ્થિતિમાં દવાઓ સાથે રાખવી જોઇએ. યાત્રા દરમિયાન ગરમ વસ્ત્રો પણ સાથે રાખવામાં આવે તે જરૂરી છે. ચાર ધામની યાત્રા એકલા કરવાના બદલે મિત્રોની સાથે કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે, માર્ગ ખુબ જ પડકારરૂપ હોવાથી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચારધામની યાત્રામાં હાલમાં શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ખરાબ હવામાન હોવા છતાં શ્રદ્ધાળુઓ ઉત્સાહિત બનેલા છે.