કર્ણાટકમાં બુધવારે જેડીએસ-કોંગ્રેસના ગઠબંધન વાળી સરકાર રચાશે. મુખ્યમંત્રી પદ માટે જેડીએસના વડા કુમારસ્વામી શપથ ગ્રહણ કરશે. ત્યારબાદ ડેપ્યુટી સીએમ પદ કોંગ્રેસના જી.પરમેશ્વર સંભાળશે. બુધવારે જ કુમારસ્વામી અને પરમેશ્વર સાથે જ શપથ ગ્રહણ કરશે. ત્યારે કેબિનેટ માટે જે અંતિમ રૂપરેખા નક્કી કરવામાં આવી છે તેમાં કોંગ્રેસના ખાતામાંથી ૨૨ મંત્રી અને જેડીએસના ૧૨ મંત્રી સામેલ થશે. જોકે આજે ફક્ત સીએમ અને ડેપ્યુટી સી.એમ. શપથ ગ્રહણ કરશે.
જેડીએસ-કોંગ્રેસના ગઠબંધન વાળી સરકારમાં હવે દરેક મોરચે સંમતિ થઈ રહી છે. સ્પીકરનું પદ કોંગ્રેસ પાસે આવ્યું છે. તો ડેપ્યુટી સ્પીકરનું પદ જેડીએસ પાસે છે. કોંગ્રેસ તરફથી કે આર રમેશ કુમારની સ્પીકર તરીકે પસંદગી કરવામાં આવી છે. રમેશ કુમાર છ વખતથી કોંગ્રેસના ધારાસભ્ય છે. ગુરૂવારે સ્પીકરની પસંદગી થશે અને ત્યારબાદ શુક્રવારે કુમારસ્વામી બહુમતી સાબિત કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ત્યારબાદ કેબિનેટના તમામ મંત્રીઓનું વિસ્તરણ થશે અને ૨૯મેના રોજ તમામ શપથ ગ્રહણ કરશે. જો કે, હાલમાં આ વિશે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી થઇ. સરકારમાં હિસ્સેદારીને લઇને મંગળવારે મોડી સાંજે બેંગ્લુરૂમાં જેડીએસ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. બીજી તરફ, સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ અને જેડીએસ બુધવારે શપથ વિધિના બહાને વિરોધીઓને એકતા બતાવવા માટે પણ પ્રયાસ કરશે. આ માટે દેશના તમામ વિરોધ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખૂદ સી.એમ.કુમારસ્વામીએ દિલ્હીમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને તમામને આમંત્રણ આપ્યું છે.
આ ઉપરાંત શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના સી.એમ.અરવિંદ કેજરીવાલ, યુપીના પૂર્વ સી.એમ. અખિલેશ યાદવ, બીએસપી સુપ્રિમો માયાવતિ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, ટીડીપી મુખ્ય ચંદ્રબાબુ નાયડુ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે