ગણેશ ચર્તુથી : ગણપતિ બાપ્પા મોરીયાના ગગનભેદી નાદ સાથે શ્રીજી પ્રતિમાઓની સ્થાપના

New Update
ગણેશ ચર્તુથી : ગણપતિ બાપ્પા મોરીયાના ગગનભેદી નાદ સાથે શ્રીજી પ્રતિમાઓની સ્થાપના

વિધ્નહર્તા દેવ ગણેશજીના પર્વ ગણેશ મહોત્સવનો સોમવારના રોજથી રંગેચંગે પ્રારંભ થયો છે. ગણપતિ બાપ્પા મોરીયાના ગગનભેદી નારાઓ સાથે શાસ્ત્રોકત વિધિથી વિવિધ મંડળોએ તેમની ગણપતિની પ્રતિમાઓની સ્થાપના કરી હતી. શ્રધ્ધાળુઓએ તેમના ઘરોમાં પણ મંગલમૂર્તિનું સ્થાપન કર્યું હતું. દસ દિવસ સુધી દુંદાળા દેવની આરાધના કરવામાં આવશે.

શ્રાવણ મહિનાથી હીંદુ સમાજના તહેવારોની શૃંખલાનો પ્રારંભ થયો છે. સોમવારના રોજથી ગણેશ મહોત્સવની શરૂઆત થતાની સાથે લોકોમાં નવા ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયો છે. ગણેશ યુવક મંડળો તરફથી મહિનાઓ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. સોમવારે ગણેશ ચતુર્થીના પાવન અવસરે પંડાલોમાં શ્રીજીની કલાત્મક પ્રતિમાઓનું શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. 10 દિવસ સુધી શ્રધ્ધાાળુઓ વિવિધ પંડાલોની મુલાકાત લઇને ગણેશજીની વિવિધ પ્રતિમાઓના દર્શન કરશે. ભરૂચ, અંકલેશ્વર સહિતના નગરોમાં ગણપતિની પ્રતિમાઓ આર્કષણ જમાવશે.