ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનાં મતદાન આડે ગણતરીનાં કલાકો બાકી રહ્યા છે, ત્યારે પક્ષ બદલી કરવાની મોસમ હજુ પુરબહારમાં જોવા મળી રહી છે. ગોંડલ કોંગ્રેસ મહિલા મોરચાનાં હોદ્દેદારો સહિત 400 કાર્યકરો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.
ગોંડલ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. જે બેઠક જાળવી રાખવા માટે ભાજપ દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગોંડલ પંથકમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. ગોંડલ મહિલા કોંગ્રેસ મોરચાનાં પ્રમુખ ચેતનાબેન જેઠવા, ઉપપ્રમુખ રેખાબેન બગથરીયા, મહામંત્રી કાંતાબેન રાઠોડ, મંત્રી પારૂલબેન મૂડીધરા અને સભ્ય શબાનાબેન રહમા સહિત 400 મહિલા મોરચાનાં કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપ પ્રદેશ મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટની ઉપસ્થિતિમાં કોંગ્રેસનાં મહિલા મોરચાનાં હોદ્દેદારો સાથે કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ મામલે મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન જેઠવા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપમાં જોડાવાનું કોઈં કારણ નથી હોદ્દેદારો અને કાર્યકરો રાજીખુશીથી ભાજપમાં જોડાયા છે.