ચંદનના 12 વૃક્ષ કપાયા, વનવિભાગે તપાસ શરૂ કરી
વન વિભાગની ફેરણાની કામગીરી માત્ર કાગળ ઉપર
અમરેલી જિલ્લા બાદ ચંદનચોર ગેંગ ગિર જંગલમાં પહોંચી
જૂનાગઢના ગિરનાર જંગલમાં અનેક ચંદનના વૃક્ષો આવેલા છે. કિંમતી ચંદનની ચોરી પણ મોટે પાયે થઇ રહી છે. ત્યારે ફરી આ વિસ્તારમાં ચંદન ચોર ગેંગ સક્રિય થઇ છે અને ૧૨ જેટલા ચંદનના વૃક્ષ કાપ્યા હોવાનુ બહાર આવ્યું છે. વન વિભાગ દ્વારા ફેરણાની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ ઉપર ચાલતી હોય તેવુ લાગી રહ્યું છે.
અમરેલી જિલ્લાના જંગલમાં છેલ્લા કેટલાય સમયથી ચંદનના વૃક્ષો કપાઇ રહ્યા છે. પરંતુ ચંદન કાપનાર ગેંગ વન વિભાગના હાથમાં આવતી નથી. ત્યારે ચંદન ચોર ગેંગે ગિરનાર જંગલને પણ હવે નિશાન બનાવ્યું છે. ગિરનાર જંગલમાં અનેક ચંદનના કિંમતી વૃક્ષો આવેલા છે. જેનુ આયુષ્ય પણ ઘણુ મોટુ છે. પરીપક્વ થયેલા ચંદનના વૃક્ષોની ચોરી દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે તાજેતરમાં જ ફરી ડુંગરપુર રાઉન્ડની ડેડકણી બીટમાં ચંદનના વૃક્ષો કપાયા હોવાનું બહાર આવ્યું છે. આ વિસ્તારમાંથી બાર જેટલા ચંદનના વૃક્ષો કપાયા છે. આ ઘટનાને લઇ વન વિભાગે ખાનગી રાહે તપાસ હાથ ધરી છે પરંતુ હજુ સુધી કોઇ જ કડી મળી નથી.
જાણવા મળ્યા મુજબ ચંદન ચોર ગેંગ મોટાભાગે કરવત અથવા લોખંડના વાયરથી ચંદનના વૃક્ષને કાપે છે. તેમજ ઘણી વખત વૃક્ષમાં એક ઘા મારી થોડો સમય રાહ જુએ છે બાદ બીજો ઘા મારે છે. જેથી કરીને કોઇને ધ્યાનમાં ન આવે કે વૃક્ષનુ કટીંગ કરે છે. તસ્કરો સ્થળ ઉપર વૃક્ષનુ કટીંગ કરે છે બાદ વૃક્ષના એક થી દોઢ ફૂટના નાના નાના કટકા કરે છે. બાદ મોટીબેગમાં રાખી લઇ જાય છે જેને કારણે પ્રથમ દ્રષ્ટીએ કોઇને શંકા જતી નથી.