આગ્રાનો સુપ્રસિધ્ધ તાજમહેલ જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા અને મુલાકાતનાં સમય પર અંકુશ મૂકતા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ આ હેરિટેજ સાઇટમાં હવે એક દિવસમાં 40000 પ્રવાસીઓ જ આવી શકશે અને એક પ્રવાસીને ત્રણ કલાક સુધી જ સંકુલમાં રહેવાની છૂટ મળશે.
સાંસ્કૃતિક સચિવ રવિન્દ્ર સિંહે આગ્રાના વહિવટી તંત્ર અને પોલીસ તેમજ અન્ય એજન્સી સાથે ઉચ્ચ કક્ષાની બેઠક કરીને નિર્ણય લીધો હતો કે તાજમહાલ જોવા માટેની ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટોનું વેચાણ એક દિવસમાં 40000નું રહેશે.
ઉલ્લેખનીય છે કે તાજમહેલ જોવા આવનારા પ્રવાસીની સંખ્યા દરરોજ વધતી જાય છે. ક્યારેક તો સંકુલમાં 60 થી 70 હજાર પ્રવાસીઓ હોય છે. 2012માં નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગે તાજમહેલનો અભ્યાસ કરી તેની ક્ષમતા ચકાસી હતી. ત્યારબાદ પ્રવાસીની સંખ્યા પર અંકુશ મૂકવા વિચારાયું હતુ.