વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના સૌથી ઝડપી અને હાઈટેક ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. આ એક્સપ્રેસ-વે ને સૌથી ઝડપી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, આ રોડ પર ૧૨૦ કિલોમીટરની ઝડપે ગાડી ચલાવવાની મંજૂરી મળશે.
આ રોડ રાજધાની દિલ્હીને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકરો અપાવવાની દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ એક્સપ્રેસ-વે ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગ્રેટર નોઈડ અને પલવલને જોડશે.
ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હી-મેરઠના ૯ કિલોમીટરના પહેલા તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ખુલ્લી જીપમાં નિરિક્ષણ કરશે.
શું છે આ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેની ખાસીયતો
*૧૩૫ કિમી લાંબા આ એક્સપ્રેસ-વેની સૌથી ખાસ વાત એ છે કે તેનું કામ વિક્રમજનક રીતે માત્ર ૫૦૦ દિવસની અંદર જ પુરૂ કરી લેવામાં આવ્યું. વડાપ્રધાન મોદી આજે બાગપતમાં એક કાર્યક્રમ દરમિયાન તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.
* આ એક્સપ્રેસ-વે ગાઝિયાબાદ, ફરીદાબાદ, પલવલ અને ગ્રેટર નોએડા વચ્ચે સિગ્નલ ફ્રી કનેક્ટિવિટીથી મજબુત બનશે.
* ૧૧,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ એક્સપ્રેસ-વે ૬ લેનનો હશે. એટલું જ નહીં આ એક્સપ્રેસ-વે ઈંટેલિજેંસ હાઈવે ટ્રાફિક મેનેજમેંટ સિસ્ટમ અને વીડિયો ઈન્સિડેંટ ડિટેક્સનથી સજ્જ છે.
* આ એક્સપ્રેસ-વે પર લાઈટિંગની સંપૂર્ણ સુવિધા સોલર પેનલ દ્વારા આપવામાં આવશે. એટલું જ નહીં તેનું દ્રશ્ય પણ ખુબ જ સુંદર હશે કારણ કે આ એક્સપ્રેસ-વેના કિનારે લગભગ ૨.૫ લાખ ઝાડ રોપવામાં આવ્યાં છે.
* નેશનલ એક્સપ્રેસ-વે ૨ કહેવામાં આવતા આ રોડ પર પેટ્રોલ પંપ, રેસ્ટ એરિયા, હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો અને રિપેર સર્વિસની સુવિધા રહેશે.
* દર ૫૦૦ મીટરના અંતરે રેનવોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા પણ છે. ડ્રિપ ઈરિગેશનની ટેક્નિકના કારણે આ પાણીથી જ ઝાડવાને પાણી આપવામાં આવશે.
* સ્વચ્છ ભારત મિશનને ધ્યાનમાં રાખતા દર ૨.૫ કિલોમીટરના અંતરે ટૉઈલેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ આખા હાઈવે પર ૬ ઈંટરચેંજ, ૪ફ્લાઈઓવર, ૭૧ અંડરપાસ અને ૬ આરઓબી રહેશે. આ ઉપરાંત યમુના અને હિંદન પર બે મોટા બ્રિજ પણ છે.