નવરાત્રી વેકેશન રદ્દના સરકારના નિર્ણયને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આવકર્યો

New Update
નવરાત્રી વેકેશન રદ્દના સરકારના નિર્ણયને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આવકર્યો

ગુજરાતની શાળાઓમાં નવરાત્રિના વેકેશનને ચાલી રહેલી ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. રાજ્ય સરકારે નવરાત્રિનું વેકેશન રદ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે જૂન મહિનાથી શરૂ થઈ રહેલ શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને નવરાત્રિનું વેકેશન આપવામાં નહિ આવે. તો બીજી તરફ, દિવાળીનું વેકેશન અગાઉની જેમ 21 દિવસનું રાબેતામુજબ કરી દેવાયું છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 2018માં જ નવરાત્રિનું વેકેશન આપવાની શરૂઆત કરી હતી. જેના બીજા જ વર્ષે નવરાત્રિના વેકેશન કેન્સલ કરવાની હાલ શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલકના ઉપપ્રમુખ જતિન ભરાડે કનેકટ ગુજરાત સાથેની વાતચિતમા જણાવ્યુ હતુ કે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક દ્વારા સરકારમા રજુઆત કરવામા આવી હતી. કારણકે નવરાત્રીનુ વેકેશન ગત વર્ષે પડવાથી અભ્યાસક્રમ ચલાવવામા શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓની બંનેને તકલીફ પડી હતી. ત્યારે સરકાર દ્વારા જે વેકેશન રદ્દ કરવાનો જે નિર્ણય લેવામા આવ્યો છે તે આવકારદાયક છે.

21 દિવસનું રહેશે દિવાળી વેકેશન

નવરાત્રિ કેન્સલ થયા બાદ સૌથી મોટી વાત એ છે કે, દિવાળી વેકેશન ફરીથી 21 દિવસનું કરાયું છે. શૈક્ષણિક કેલેન્ડર પાર પડ્યા પછી નવરાત્રિનું વેકેશન રદ કરવાનો કેબિનેટએ આજે નિર્ણય લીધો છે. જેને કારણે દિવાળી વેકેશન ફરીથી 21 દિવસનું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દિવાળી વેકેશન માટે 10 અને નવરાત્રિ વેકેશન માટે 10 દિવસ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેના એક વર્ષના ગાળામાં જ શિક્ષણ વિભાગે પોતાનો આ નિર્ણય બદલ્યો છે.

ઉનાળાનું વેકેશન પણ લંબાવાનું નથી

વેકેશન બાદ રાજ્યભરની શાળાઓ 10 જૂનના રોજ શરૂ થવાની છે. પરંતુ 10 જૂનને બદલે 17 જૂનના રોજ શાળા શરૂ કરવાની માંગ ઉઠી હતી. રાજ્યની શાળાઓમાં વેકેશન એક સપ્તાહ લંબાવવા દરખાસ્ત કરવામાં આવી હતી. જેના માટે ગરમી અને સુરત આગકાંડ બાદ કરાયેલા ડિમોલિશનનું કારણ ધરવામાં આવ્યું હતું. આ માટેની દરખાસ્ત રાજ્યના શિક્ષણ મંત્રીને મોકલી દેવામાં આવી હતી. આજે મળેલી કેબિનેટની બેઠકમાં સ્કૂલોનું વેકેશન ન લંબાવવાનો નિર્ણય લેવાયો છે. તેથી સ્કૂલો પણ રાબેતામુજબ 10 જૂનના રોજ જ શરૂ થશે તેવું શિક્ષણંત્રી દ્વારા જણાવાયું છે.

આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, કેબિનેટમાં નિર્ણય લેવાયો છે કે ઉનાળાનું વેકેશન લંબાવાનું નથી. બીજો નિર્ણય લેવાયો છે કે, કેબિનેટમાં ચર્ચાવિચારણના અંતે આવેલી રજૂઆતના અંતે હવે નવરાત્રિ વેકેશન નહિ આપવાનો નિર્ણય કર્યો છે.

Latest Stories