છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 125 જૂથ પાણી પુરવઠા યોજના ની આનંદપુરી ગામ નજીક નર્મદાના ફિલ્ટર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા રોજ નું હજારો લીટર પાણી નદીમાં વહી રહ્યું છે. લાઈનમાં ભંગાણ ના કારણે આનંદપુરી ગામના લોકોને પાણી નથી મળતું. ઉનાળા ની શરૂઆતથી જ જમીન માં જળ સ્તર ઊંડા ઉતરતા બોર હેન્ડ પમ્પ નકામા બન્યા છે. તેવામાં લાઈન તૂટતા ગ્રામજનોને તરસે રહેવાનો વારો આવ્યો છે. ગ્રામજનોનું માનીએ તો છેલ્લા બે મહિના ઉપરાંત થી આ લાઈન તૂટેલી છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પાણીના વેડફાટ ને રોકતું નથી.
નર્મદાના પાણી ને ફિલ્ટર કરી 125 ગામો ને પીવાનું પાણી પૂરું પાડવા 49 કરોડ ના ખર્ચે બનેલી 125 જૂથ પાણી પુરવઠા યોજના માં આજે પણ ફક્ત 110 ગામોને પાણી પહોંચે છે. જ્યારે જે ગામોમાં પાણી જાય છે ત્યાં પણ વારંવાર પાઇપો માં ભંગાણ સર્જાય છે. જેથી લોકો ને પાણી મળતું નથી અને બીજીતરફ પાણી વેડફાટ થાય છે. છોટાઉદેપુર જિલ્લામાં જ અનેક ગામો પાણી માટે વલખા મારે છે તો બે બેડા પાણી માટે લોકોને રઝળપાટ કરવી પડી રહી છે. તેવામાં પાણી પુરવઠા તંત્ર ની ગંભીર બેદરકારી ના કારણે લાખો લીટર પાણી બિન જરૂરી નદી કે કોતર માં વહી રહ્યું છે.