/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault21.jpg)
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જીલ્લામાં નવા વર્ષના દિવસે ગાય ગોહરીનો
તહેવાર ખૂબ જ અનોખી રીતે ઉજવવામાં આવે છે. પરંપરાગત
રીતે ઉજવાતા ગાય ગોહરીના તહેવારને
જોવા અનેક શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો દાહોદ આવી પહોચે છે.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યારે દિવાળીનો પર્વ અને તેમાં
પણ નવા વર્ષના દિવસે ગાય ગોહરીનો અનોખો તહેવાર મનાવવામાં આવે છે. જિલ્લાના ગરબાડા, ગાંગરડી, ઝાલોદ તેમજ દાહોદ શહેરમાં ગાય
ગોહરીનું આયોજન કરવામાં આવે છે. ગાય ગોહરીની ઉજવણી હજારો વર્ષોથી આદિવાસી સમાજ
દ્વારા કરવામાં આવે છે. જેમાં આદિવાસી પરિવારો દ્વારા ગાયોને રંગ રોગાન દ્વારા સજાવી ગામના મુખ્ય ચોકમાં લાવવામાં આવે છે. જ્યાં પૂજન વિધિ કર્યા બાદ ગાયોને દોડાવવામાં
આવે છે. બાધા રાખેલ આદિવાસી ખેડૂતો ગાયોના ટોળાની નીચે સૂઈ જાય છે. કેટલીય ગાયો આ લોકો પરથી પસાર થઈ જાય છે. ગાય ગોહરીની એવી માન્યતા
છે કે, સમગ્ર વર્ષ
દરમિયાન જો ગાય માતાને મારી દેવાયું હોય અથવા તો ખેતી સમયે ગાયને નુકશાન કરવામાં
આવ્યું હોય તો આજના નવા વર્ષના દિવસે ગાય માતાની પૂજા કરી તેમની માફી માંગવામાં આવે છે, જેથી
આવનાર વર્ષ ખેતીમાં સારું જાય
તેમજ સારો વરસાદ પડે. અનેક ગાયોની નીચે સુઈને બાધા પુરી કરનાર લોકોને આ સમગ્ર
પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઈજાઓ થતી નથી તેમજ આ પરંપરા વર્ષોથી યથાવત છે.