/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/c7e90a4b-83fa-4762-b676-61f0ffb65b02.jpg)
ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરૂચ ખોડલધામ યુવા સમિતિ દ્વારા લાપસી મહોત્સવ ઉજવાયો હતો.. ભક્તિ દ્વારા એકતાની શક્તિની જ્યોત જગાવનાર ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ લેઉવા પાટીદાર સમાજે આંતરરાષ્ટ્રીય સ્તર એકતા દર્શાવી છે. એક સાથે લાખો લોકોએ રાષ્ટ્રગાન કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાજ સ્થાન પામ્યું છે તે તેનું ઉદાહરણ છે. ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં નીલકંઠેશ્વર મહાદેવના પટાંગણમાં શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા માં ખોડલનો લાપસી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આ અવસરના ટાણે સમાજના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. લાપસી મહોત્સવમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડથી નરેશભાઈ પટેલ તેમના ટ્રસ્ટી મંડળ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર તથા ઝઘડિયા, અંકલેશ્વર, વાગરા, જંબુસર, આમોદ તાલુકા સમિતિઓ યુવા સમિતિઓના કન્વીનરો, સભ્યો ઉપરાંત સમાજના મોભીઓ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન નરેશભાઈ પટેલે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ખોડલધામે વિશ્વસ્તરની ચર્ચાઓમાં ઝળક્યું છે. ખોડલધામ આવતી પેઢીઓને લાભદાયી નીવડશે. ભરૂચ જિલ્લાના સ્થાનિક સમાજો અને દૂર સૌરાષ્ટ્ર કાઠિયાવાડથી અહીં આવી ખોડલધામની નીતિ રીતિને વળી સમાજનું કામ જિલ્લા સ્તરે થઇ રહ્યું છે તે ખુબ આનંદની વાત છે. સમાજ એક થઇ સંગઠન બને અને સમાજનું કામ થાય સાથે સાથે સમાજ દ્વારા રાષ્ટ્રની પણ સેવા થાય એવા પ્રયાસો આપણે કરી રહ્યા છે.