/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/Untitled-1-copy-4-1.png)
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં આંશિક ઘટાડો થયો છે. જો કે દાંડીયાબજાર વિસ્તારમાં ભરાયેલા પુરના પાણી ઓસરી રહયાં હોવાથી લોકોને રાહત સાંપડી છે. પુરના પાણી ઓસર્યા બાદ હવે પાલિકાએ સફાઇ અભિયાન હાથ ધર્યું છે.
નર્મદા ડેમમાંથી પાણીનો વિપુલ જથ્થો આવી રહયો હોવા છતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં આંશિક ઘટાડો થઇ રહયો છે. નર્મદા નદીની સપાટી શનિવારે 30.50 ફૂટ નોંધાઇ છે. બીજી તરફ ચાર દિવસથી વધારે સમય સુધી પાણીમાં ગરકાવ રહયાં બાદ દાંડીયાબજાર વિસ્તારમાંથી પુરના પાણી ઓસરી ગયાં હતાં. પુરના પાણી સાથે ખેંચાઇ આવેલી ગંદકી અને કચરાની સફાઇ માટે પાલિકાની ટીમો કામે લાગી છે. જો કે ભરૂચના કેટલાય વિસ્તારો હજી પાણી ભરાયેલાં છે. દાંડીયાબજારથી કસક ગરનાળા સુધીનો રસ્તો ખુલ્લો થયા બાદ હવે ત્યાં સફાઇની સાથે જંતુનાશક દવાના છંટકાવની કામગીરી ચાલી રહી છે. પુરના પાણી ઓસરી રહયાં હોવાથી હવે શહેરમાં રોગચાળો ન ફેલાઇ તેની જવાબદારી પાલિકાના માથે આવી છે. પુરના પાણી આગામી દિવસોમાં પાલિકા તંત્રને પરસેવો પડાવશે તે વાત ચોકકસ છે.